હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, સૌથી વધુ બારડોલીમાં 6 ઇંચથી વધારે ખાબક્યો

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (28મીની સવાર સુધીમાં) રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ 6 ઇંચ વરસાદ બારડોલીમાં નોંધાયો છે. તો બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં આજ સવારે 6.00 કલાક પહેલાના 24 કલાક દરમિયાન 126 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના મહુવા અને તાપીના વાલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના પારડી, ખેરગામ, ચિખલી, ધરમપુર, સુરત, ડોલવાણ, મુંદ્રા, ધોધા, કામરેજ, વલ્લભીપુર, વાપી, કપરાડા, નેત્રંગ, ઉમરપાડા, સોનગઠમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમ થઈ ચુક્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં માત્ર 3 ઈંચ વરસાદને પગલે ઘાટ માર્ગ પર પથ્થર પડવાની ઘટના પણ સામે આવી છે. સાપુતારા ઘાટ માર્ગમાં પથ્થર પડવાથી માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે. સામાન્ય વરસાદમાં પથ્થરો પડવાની ઘટનાઓ બની રહી છે તો સવાલ એ છે કે, ભારે વરસાદ આવશે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થશે તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. મહત્વનું છે કે, ગત ચોમાસામાં ભેખડ ઘસી પડવાથી 6 મહિના સુધી માર્ગ બંધ રાખવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. જેમકે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.