તાજેતરમાં કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગનો ખેતી નિયામકને ઉદ્દેશીને અંદાજ સમિતિના સૂચનો સાથેનો પત્ર વાઇરલ થતા કૃષિ વિદ્યાર્થીઓમાં સરકાર તરફી નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે, વાયરલ પત્રના ઉલ્લેખ મુજબ સમિતિ દ્વારા ગ્રામસેવકનું પદ રદ કરવાનું સૂચન આપવામાં આવતા છેલ્લા પાંચ વર્ષથી ગ્રામસેવક ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં સરકાર તરફી આક્રોશ જોવા મળ્યો હતો અને ગ્રામસેવકનું પદ રદ ન કરવા પંચાયત મંત્રી,કૃષિ મંત્રી તેમજ સંબંધિત વિભાગોને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
કૃષિ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગ્રામસેવકની ભરતી પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવતી હોય અને તાજેતરમાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં પંચાયત વિભાગમાં આશરે 16,000 જેટલા અલગ-અલવ સંવર્ગોની ભરતીઓ કરવા બાબતે સ્પષ્ટતા કરતા કૃષિ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – લખીમપુર હત્યાકાંડ : ભારે આલોચના બાદ પણ મંત્રીનો પુત્ર આઝાદ, 2 આરોપીની પુછપરછ શરૂ કરાઈ !
આ મામલે કૃષિ વિદ્યાર્થી નેતા ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી સરકારે જ બનાવેલ ભરતી કેલેન્ડર મુજબ ગ્રામસેવકની ભરતી કરવામાં આવી નથી, 2018 થી કૃષિ વિદ્યાર્થીઓ ગ્રામસેવકની ભરતી કરવા સતત રજૂઆતો કરતા આવ્યા છે. સંબંધિત વિભાગો અને સરકારે નક્કી કરેલા નિયમો મુજબ તાલીમ અને મુલાકાત યોજના હેઠળ બિનપિયત વિસ્તારમાં 800 થી 1000 ખેડૂત કુટુંબદીઠ 1(એક) ગ્રામસેવક તેમજ કેનાલ કમાંડ વિસ્તારમાં દર 500 ખેડૂત કુટુંબ દીઠ 1(એક) ગ્રામસેવકની જોગવાઈ છે. પરંતુ આ પ્રમાણે સરકાર ભરતી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે,વળી પંચાયત વિભાગ દ્વારા 2020-21 ના વર્ષમાં જ ગ્રામસેવક ભરતીના નવા નિયમો તૈયાર કર્યા છે ત્યારે અચાનક ગ્રામસેવકનું પદ રદ કરવાની વિચારણા કરવી એ પણ કૃષિ ક્ષેત્રના વિભાગોમાં ભરતી કરવામાં સરકારની ઈચ્છા શક્તિનો અભાવ હોઈ એવું જણાવે છે.