ગરવી તાકાત સાબરકાંઠા : ઈડરમાં અષાઢી બીજના પાવન અવસરે ગુરુવારે ભગવાન જગન્નાથજીની ૨૮મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સવારે ઐતિહાસિક મોટા રામદ્વારા મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું જેમાં હજારો હરિભક્તો જોડાયા આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ તેમજ મોટા રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજ અને અન્ય સંતો-મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું. રથયાત્રા જ્યારે બપોરે કસ્બા વિસ્તારમાં પહોંચી ત્યારે લઘુમતી સમાજના આગેવાનો અને બિરાદરોએ ભગવાનનું સ્વાગત કરી.

કોમી એકતાનો સુંદર સંદેશો આપ્યો ત્યારબાદ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર જૈમિન ચૌધરી અને સ્ટાફે રથયાત્રા વધાવી અને જલારામ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ સત્યમ ચોકડી વિસ્તારના વેપારીઓ દ્વારા ભગવાનનું પરંપરાગત મામેરું ભરીને નવા વસ્ત્રો, દાગીના તેમજ રોકડ ભેટ અર્પણ કરાયા આ ઉપરાંત, રેલવે સ્ટેશન વિસ્તારમાં ભોજન-પ્રસાદનું આયોજન કરાયું જેમાં સવારથી યુવાનો સેવા કાર્યમાં જોડાયા અને સમગ્ર યાત્રા દરમિયાન દુર્ગા વાહીનીની દીકરીઓ દ્વારા કરવામાં આવેલા તલવારબાજીના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા.

મહાઆરતી બાદ રથયાત્રા મામલતદાર કચેરી, તિરંગા સર્કલ, મેઈન બજાર, ટાવર ચોક, ખરાદી બજાર અને પાંચ હટડીયા વિસ્તાર થઈને પોતાના નિજ મંદિર મોટા રામદ્વારા ખાતે પરત ફરી જ્યાં ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલ, ઈડર પીઆઇ આર.એ. ચૌધરી, એલસીબી, એસઓજી તેમજ પોલીસ જવાનો દ્વારા ચુસ્ત અને સુચારુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યોની ભારે જહેમત અને પોલીસ તંત્રના સહયોગથી આખી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાના વાતાવરણમાં સંપન્ન થઈ.


