ગરવી તાકાત મહેસાણા : મહેસાણા આગામી તા.૦૫/૧૨/૨૦૨૨ ને સોમવારના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ યોજાનાર છે. આ દિવસે મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળ (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગી તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) એકટ -૧૯૯૬ અન્વયે નોધણી થયેલ સંસ્થા /સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, સવેતન રજા આપવાની રહેશે.
આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય
તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો તે લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાયબ નિયામક, ઔધૌગિક સલામતી અને સ્વાસ્થ્ય,મહેસાણા ની અખબારી યાદીમાં જણાવાયું છે.


