ન્યુ દિલ્હી 1 : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની એનડીટીવીમાં એન્ટ્રી થતા ધડાધડ મોટા રાજીનામાં પડવા લાગ્યાં છે. પહેલા પ્રમોટર્સ પ્રણવ રોય અને રાધિકા રોયના રાજીનામા બાદ હવે સિનિયર પત્રકાર રવિશ કુમારે પણ એનડીટીવીને અલવિદા કહી દીધું છે. રવિશ કુમારે ઘણા દિવસોથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર હતા. જો કે બુધવારે તેમણે સત્તાવાર રીતે એક મેઇલ મોકલીને રાજીનામું આપી દીધું હતું. 
રવીશની વિદાયની જાહેરાત કરતાં ચેનલે એક આંતરિક મેઇલમાં જણાવ્યું હતું કે, તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારી લેવાયું છે એટલે હવે તેઓ એનડીટીવીના કોઈ કાર્યક્રમમાં નહીં દેખાય. એનડીટીવી (હિન્દી)ના જાણીતા ચહેરા રવીશ કુમારે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ફંક્શન હોસ્ટ કર્યા હતા, જેમાં હમ લોગ, રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઇમ ટાઈમનો સમાવેશ થાય છે. રવીશ કુમારને બે વાર પત્રકારત્વમાં યોગદાન બદલ રામનાથ ગોએન્કા એક્સેલન્સ એવોર્ડ અને 2019માં રેમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.રવીશના રાજીનામા બાદ એનડીટીવીના ગ્રુપ પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહે કહ્યું કે, કેટલાક જ પત્રકારો એવા છે જે લોકોને રવીશ પ્રભાવિત કરે છે. રવીશ દાયકાઓથી એનડીટીવીનો અભિન્ન ભાગ છે. તેમનું યોગદાન અપાર રહ્યું છે, અને અમે જાણીએ છીએ કે તેઓ તેમની નવી ઇનિંગ્સમાં પણ ખૂબ જ સફળ થશે. રવિશ કુમારનું રાજીનામું એનડીટીવીના એક્ઝિક્યુટિવ કો-ચેરમેન પ્રણવ રાયે ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આવ્યું છે.
એનડીટીવીના સ્થાપક પ્રણય રોય અને તેમનાં પત્ની રાધિકા રોયે પ્રમોટર ગ્રૂપના યુનિટ આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. એનડીટીવી છોડ્યાં બાદ રવિશ કુમાર તેમની લોકપ્રિય યૂટ્યુબ ચેનલ ચલાવશે. તેઓ ખૂબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે અને તેઓ જમીની સ્તરે લોકો સાથે જોડાયેલા રહ્યાં છે અને ખૂબ લોકપ્રિય છે એટલે તેમને આશા છે કે તેમની આ ચેનલ સારી રીતે ચાલશે. આ પહેલા પણ તેઓ કહી ચૂક્યા છે કે પત્રકારને કોઈ સ્ટુડિયાનો મોહ હોતો નથી.


