પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું
ગરવી તાકાત, અંબાજી તા. 16 – વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે અનેક સંઘો માતાજીને અર્પણ કરવા ધ્વજાઓ લઈને નીકળ્યા છે ત્યારે ઉમરગામના જય અંબે મિત્ર મંડળ સંઘ 101 ફૂટ લાંબી ધ્વજા લઈને પગપાળા અંબાજી નીકળતા અંબાજીના માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જામ્યો છે.

અંબાજીના માર્ગો ઉપર હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના અંબાજી પગપાળા જતા અંબાજીના માર્ગો સોહામણા બન્યા છે. ત્યારે ઉમરગામનો જય અંબે મિત્ર મંડળ સંઘ 101 ફૂટ લાંબી ધ્વજા લઈને અંબાજીના માર્ગો ઉપર નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિમય રંગે રંગાયું છે.

આ સંઘના 50 થી વધુ ભક્તોના હાથમાં 101 ફૂટ લાંબી ધ્વજા જોઈને ભક્તો ભાવવિભોર બન્યા છે. 101 ફૂટ લાંબી ધ્વજાએ અલૌકિક નજારો સર્જયો છે. આ સંઘ છેલ્લા 17 વર્ષથી અવિરતપણે પગપાળા ધ્વજા લઈને અંબાજી જાય છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને માતાજીની આરાધના કરે છે.


