ગરવી તાકાત મહેસાણા : મહેસાણા નજીકના છઠિયારડામાં છેલ્લા 9 દિવસથી દીપડો વારંવાર દેખા દેતાં ગ્રામજનો ભય હેઠળ જીવી રહ્યા છે. મંગળવાર રાત્રે દીપડાએ એક શેરીશ્વાનનો શિકાર કર્યો હતો. વન વિભાગ દ્વારા વધુ 2 થી 3 પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા વ્યૂહરચના અપનાવાઇ છે. ગત 27 માર્ચે રાત્રે છઠિયારડામાં પ્રથમ વખત દીપડો દેખાયો હતો.

છેલ્લા 9 દિવસમાં ત્રણ વખત દીપડો ગામની અલગ અલગ જગ્યાએ આવ્યો હોવાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા. ગામના પૂર્વ સરપંચ પઠાણ મહંમદહનીફ કેશરખાને જણાવ્યું કે, મંગળવાર રાત્રે 1.30 થી 2ના ગાળામાં ગામના રોહિતવાસમાં દીપડો આવ્યો હતો. જ્યાં દીપડાએ એક પ્રાણીનો શિકાર કર્યો હતો. રોહિતવાસના રસ્તા પર અલગ-અલગ જગ્યાએ લોહીના નિશાન જોવા મળ્યા હતા.
પ્રાથમિક અનુમાન મુજબ દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે. લોહી ભરેલા રસ્તાને જોઇ ગ્રામજનો ગભરાઇ ગયા છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બીજી બાજુ વન વિભાગે અત્યાર સુધીમાં દીપડાને પકડવા એક પાંજરું મૂક્યું હતું. જોકે, શ્વાનના શિકાર બાદ મહેસાણા વિભાગીય વન અધિકારી યોગેશભાઇ દેસાઇએ જણાવ્યું કે, દીપડાને ઝડપી લેવા સ્થળ નિરીક્ષણ કરી વધુ 2 થી 3 જગ્યાએ પાંજરા મૂકવામાં આવશે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


