ગરવી તાકાત, ગાંધીનગર તા. 23 – ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાથી નુકસાની થતા સહાય માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોર જોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર દ્વારા એક મોટી સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કપડા અને ઘરવખરી નુકશાન માટે સરકાર 7000 રૂપિયા ચુકવશે. જ્યારે સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે 1,20,000 ની સહાય અપાશે..

રાજ્ય સરકારે વાવાઝોડામાં જે લોકોને આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15000ની સહાય કરવામાં આવી છે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનોમાં 10,000ની સહાય, સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે 10,000 રૂપિયા, ઘર સાથેના શેડ નુકસાન માટે 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.
અગાઉ બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો હતો, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે 3 સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ હાઇવે બંધ કરવા પડ્યા હતા. તથા 4600 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ 1000 ગામોમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાનો બાકી હતો. 5120 વીજ થાંભલા વાવાઝોડાથી ધરાશાયી થયા હતા. તથા 581 વૃક્ષો ધરાશાયી થયા હતા. 20 કાચા મકાનો નાશ પામ્યા હતા. તેમજ 9 પાકા મકાનોને અસર થઇ હતી. તથા 474 કાચા મકાનોને નુક્સાન થયું હતું. 65 ઝુંપડાઓનો સંપૂર્ણપણે નાશ થયો હતો. સાવચેતીના ભાગરૂપે ઉદ્યોગો બંધ કરાયા હતા. ઉદ્યોગોને બહુ મોટું નુક્સાન નથી. તથા સાયક્લોનનો મોટો ભાગ આગળ નીકળ્યો હતો.


