પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો અને એવી ટકોર કરી હતી કે ‘નશાબંધીના ગુનામાં તમે ‘સિક્રેટ ઈન્ફોર્મેશન’ના નામે 100 લોકોને આરોપી બનાવશો?
આરોપીઓ સામે કોઈ નકકર પુરાવા નથી કે તેમની પાસેથી કોઈ જથ્થો પણ મળી આવ્યો નથી. તેમ છતાંય એક નહીં પણ અનેક લોકોએ એક જ ફરીયાદમાં આરોપી દર્શાવી દેવાયા હતા
ગરવી તાકાત, અમદાવાદ તા. 02 – નશાબંધીના ગુનામાં અનેક લોકોને સાગમટે આરોપી બનાવી દેવાના અને ત્યારબાદ તેમની વિરૂધ્ધ પોલીસ પાસે કોઈ મજબૂત પુરાવા ન હોવાનો ચોંકાવનારો મામલો હાઈકોર્ટને ધ્યાને આવ્યો હતો. આ પ્રકારની એક ફરીયાદમાં આગોતરા જામીન મેળવવા અરજદારે કરેલી પિટિશનમાં હાઈકોર્ટના જસ્ટીસ ઉમેશ ત્રિવેદીએ રાજય સરકાર અને પોલીસ વિભાગનો ઉધડો લીધો હતો અને એવી ટકોર કરી હતી કે ‘નશાબંધીના ગુનામાં તમે ‘સિક્રેટ ઈન્ફોર્મેશન’ના નામે 100 લોકોને આરોપી બનાવશો? 
ત્યારબાદ એમની પાસેથી કંઈ જ મળે જ નહીં! શું કોઈ પોલીસ સ્ટેશનની હદમાં અવાવરૂ છોડી દીધેલો નશાબંધીના કાયદા હેઠળ પ્રતિબંધિત જથ્થો મળી આવે તો શું કોઈ પોલીસ કર્મચારી સામે પગલા લેવામા આવે છે? પોલીસને કોઈ તથા કથિત માહિતી મળે અને પુરાવા ન હોય તેમ છતાંય આવી રીતે લોકોના નામ ફરીયાદમાં લખી દેવાના? આવી કામગીરી કરનાર પોલીસ કર્મચારીને કોર્ટમાં હાજર કરો’ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદનો આ મામલો છે. જે કેસની સુનાવણીમાં પોલીસ તરફથી એમ જણાવાયુ હતુ કે, તેમને મળેલી સિક્રેટ ઈન્ફોર્મેશન અને આરોપીઓના પૂર્વના ગુનાઓને ધ્યાનમાં રાખી તેમની સામે ફરીયાદ નોંધાઈ હતી.
જો કે, કોર્ટને ધ્યાનમાં આવ્યુ હતુ કે, આરોપીઓ સામે કોઈ નકકર પુરાવા નથી કે તેમની પાસેથી કોઈ જથ્થો પણ મળી આવ્યો નથી. તેમ છતાંય એક નહીં પણ અનેક લોકોએ એક જ ફરીયાદમાં આરોપી દર્શાવી દેવાયા હતા. તેથી કોર્ટે આ ફરીયાદની કોઈ પ્રકારની ટ્રીક ગણાવતા ટકોર કરી હતી કે ‘આવા મામલે કોઈ તો ગાઈડલાઈન હશે કે કઈ રીતે ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવો. હાલ પોલીસે જેને આરોપી બનાવ્યા છે તેઓ પુરાવાના અભાવે મુકત થઈ જશે અને પોલીસ પોતાનુ કામ બતાવીને હાથ ખંખેરી લેશે અને ઉલ્ટાનુ પોલીસની કોઈ જવાબદારી પણ નહીં રહે
કે આ જથ્થો તેમના વિસ્તારમાં કઈ રીતે આવ્યો.’કોર્ટે ટકોર કરી કે ‘કોર્ટ જાણવા માંગે છે કે પ્રોહિબિશનના મુદ્દે શું ગાઈડલાઈન હોય થે અને કોણ જવાબદાર છે. શું સરકારે કોઈ નિર્દેશ કર્યા છે કે પોલીસને કોઈ તથા કથિત સિક્રેટ ઈન્ફર્મેશન મળે તો તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી કે કેમ? સરકાર આ મામલે ચકાસણી કરીને ખરાઈ કરે કે જે તે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ કે એવા અન્ય કોઈ નશાબંધીના કાયદા હેઠળની પ્રતિબંધિત વસ્તુ બિનવારસી છોડી દીધેલી મળી આવી હોય તો કોઈ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થઈ છે.’


