બદલાતી સીઝનમાં અત્યારે ઉધરસ અને શરદીની સમસ્યા સર્વત્ર જોવા મળી રહી છે
મિની કોરોના ક્યાંક તમારા પરિવારમાં તો નથી પ્રવેશી ચૂક્યો ને?
ગરવી તાકાત, ગાંધીનગર તા. 04 – બદલાતી સીઝનમાં અત્યારે ઉધરસ અને શરદીની સમસ્યા સર્વત્ર જોવા મળી રહી છે. એમાં પણ ઉધરસની સમસ્યા તો ત્યારે સામે આવી હતી, જ્યારે કોરોનાનું સંક્રમણ પોતાની પીક પર હતું. હવે આ પ્રકારની જ દહેશત જોવા મળી રહી છે. લોકોમાં મૂંઝવણ છે કે શું આ કોરોનાનું જ એક સ્વરૂપ છે કે પછી કોઈ નવો વાયરસ છે, જે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. 
જે લોકોને ઉધરસની સમસ્યા થઈ છે, તેમાંથી ઘણાને ઉધરસ મટવાનું નામ નથી લેતી. ઉધરસ ખાતી વખતે ફેફસા હચમચી જાય છે. શ્વાસ ફૂલાવા લાગે છે. ગળામાં દર્દ થાય છે. ઘણી વાર તો આખી રાત ઉધરસથી વ્યક્તિ હેરાન થાય છે. પહેલાં જે ઉઘરસ 5થી 6 દિવસમાં ઠીક થઈ જતી હતી, તેને ઠીક થવામાં હવે 25થી 30 દિવસનો સમય લાગી રહ્યો છે. જેને જોતાં સવાલ ઉઠી રહ્યા છે કે ઉધરસ આટલી જોખમી કેમ છે. તેનાથી બચવા શું કરવું જોઈએ.
જાણાકોરોનું માનીએ તો આ સ્થિતિ પાછળ એક વાયરસ જવાબદાર છે. જે કોરોના તો નથી, પણ તેનાં લક્ષણો બિલકુલ કોરોના જેવા જ છે. પણ તેને તમે મિની કોવિડ પણ કહી શકો છો, તેનું નામ છે ઈન્ફલુએન્ઝા A – H3N2. જે દેશનાં ઘણા શહેરોમાં ઝડપથી ફેલાઈ ચૂક્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ICMRએ આ વાયરસ સામે દેશમાં જોખમનું એલાર્મ પણ આપી દીધું છે અને કોવિડ જેવી જ સાવચેતી રાખવાની સલાહ આપી છે. કેમ કે કોરોનાની જેમ આ વાયરસથી સંક્રમિત લોકોમાં પણ ઉધરસ અને તાવની સમસ્યા વધારે છે.
ઉધરસ અને તાવ માટે જવાબદાર ઈન્ફલુએન્ઝા Aને મિની કોવિડ કેમ કહેવાઈ રહ્યો છે
જે રીતે કોરોના સીધા ફેફસા પર હુમલો કરે છે, તેવી જ રીતે આ વાયરસને કારણે પણ ફેફસામાં ગંભીર સંક્રમણ થઈ રહ્યું છે
કોરોના જેમ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, તેવી જ રીત ઈન્ફલુએન્ઝા A વાયરસ પણ સંક્રમણથી ફેલાય છે
જે રીતે કોરોનાના ઘણા દર્દીઓની સારવાર માટે તબીબોએ સ્ટીરોઈડનો ઉપયોગ કર્યો હતો, તેવી જ રીતે અત્યારે પણ સ્ટીરોઈડની જરૂર પડી રહી છે
જે રીતે કોરોના વાયરસને કારણે હોસ્પિટલ્સમાં લાંબી લાઈનો લાગી હતી, તે જ રીતે આ વાયરસને કારણે પણ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.


