આ અગાઉ પબુભા માણેકે પણ સરકારના પગાર ભથ્થા લેવાનો ઇન્કાર કર્યો હતો
ગરવી તાકાત, મહેસાણા- ગુજરાત રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે પોતાના મળતા તમામ સરકારી પગાર ભથ્થાના લાભોને જતા કર્યા છે. આ માટે તેમના દ્વારા મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને લેખિતમાં રજુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બનેલી ગુજરાત સરકારની કેબિનેટમાં બલવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. તેઓ કેબિનેટના સૌથી ધનિક મંત્રી પણ છે. 
તેમની આ માંગને નાણા વિભાગ પાસે મોકલી આપવામાં આવશે અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બળવંતસિંહ રાજપુત આ પહેલા પણ જ્યારે કોગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ તેઑ પગાર લેતા નહોતા. રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. આ મામલે બલવંતસિંહે મુખ્યમંત્રીને લેખિતમાં એક પત્ર લખ્યો.
ઉલ્લેખનીય છે કે મંત્રી મંડળમાં સૌથી ધનિક મંત્રી પણ બલવંતસિંહ રાજપૂત પોતે જ છે. તેથી તેમણે લીધેલું આ પગલું મંત્રીમંડળના અન્ય સદ્ધર મંત્રીઓ અને ધારાસભ્યોને પણ પ્રેરણા આપે એવું પગલું છે. ગુજરાતના લોકોમાં આ પગલાંને લઈને સરાહના થઈ રહી છે. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધપૂરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. માણસાના ધારાસભ્ય જે એસ પટેલ બાદ તેઓ વિધાનસભાના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે.


