તમામ ફુડ સેફટી અધિકારીઓના ટાર્ગેટ ડબલ કરી દેવાયા : ઈન્સ્પેકશનના લક્ષ્યાંક પણ વધારાયા
કેન્દ્રસરકારે હવે ભેળસેળીયા તત્વો પર વધુ કડક સકંજો કસવાનું નકકી કર્યુ
નવી દિલ્હી તા.11 : દેશમાં મિલાવટી ચીજવસ્તુના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રસરકારે હવે ભેળસેળીયા તત્વો પર વધુ કડક સકંજો કસવાનું નકકી કર્યુ હોય તેમ ફુડ વિભાગને મોટી સંખ્યામાં તૂટી પડવાનો આદેશ કરવામાં આવ્યો છે. ફુડ શેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા તમામ રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોને ભેળસેળીયા તત્વો પર વોચ વધારવા અને ચેકીંગ વ્યાપક બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. 
પણજી ખાતે સંસ્થાની સલાહકાર સમીતીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ફુડ સેફટી વિભાગના સીઈઓ કમલાવર્ધન રાવ એ એવી સૂચના આપી હતી કે દરેક ફુડ અધિકારીએ ત્રીમાસીક ગાળામાં પંદર ને બદલે હવે ત્રીસ ફુડ સેમ્પલ લેવા પડશે અને પંદરથી વીસ સ્થળોએ ઈન્સ્પેકશન કરવાનું રહેશે. રાજયોને દરરોજ ફુડ સેફટી ઓન વ્હીલ મારફત દૂધના 10 સેમ્પલ લેવાનું પણ સૂચના આપવામાં આવી છે. સમગ્ર દેશમાં સ્થળ પર જ ભેળસેળ ચકાસણી માટે 168 ફુડ સેફટી ઓન વ્હીલ વાન હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. આ મીટીંગમાં તમામ રાજયોના ફુડ સેફટી કમિશ્નર સહિતના સીનીયર અધિકારીઓ હાજર રહ્યા હતા.
તહેવારો તથા લગ્નગાળા દરમ્યાન ખાદ્યચીજોની ચકાસણી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. ખાદ્ય ચીજોમાં ભેળસેળ ચકાસવા માટે લેબોરેટરી સ્થાપવા સહિતની માળખાકીય સુવિધા ઉભી કરવા માટે દરખાસ્ત મોકલવા રાજયોને સૂચવાયુ હતું. ચાલુ વર્ષ આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે તેનો વપરાશ અને ઉત્પાદન વધારવા મુદે પણ ચર્ચા થઈ હતી.


