બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાના અણધડ વહીવટને કારણે કેટલાક સ્લમ પરિવારોને રઝળવાનો વારો આવ્યો
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 25 – બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાના અણધડ વહીવટને કારણે કેટલાક સ્લમ પરિવારોને રઝળવાનો વારો આવ્યો છે.પાલિકાએ આઠ આઠ વર્ષ અગાઉ તૈયાર કરેલી રાજીવ આવાસ યોજના વિવાદને કારણે ખોરભે ચઢી છે અને તેને જ કારણે સરકારના કરોડો રૂપિયાનો તો ધુમાડો થયો પરંતુ આ આવાસો મેળવવા જે સ્લમ પરિવારોએ વર્ષ 2019 માં સાત હજાર રૂપિયા ભર્યા હતા તે પરિવારોને પણ ઘરના રૂપિયા હજી પરત મળ્યા નથી. દેશના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે કાચા ઘર ધારકો અને ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજના અમલમાં મૂકવામાં આવીને તે અંતર્ગત જિલ્લા મથક પાલનપુરમાં સ્લમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે હેતુસર રાજીવ આવાસ યોજના અમલમાં મૂકાઈ હતી.

પાલનપુરના હરીપુરા વિસ્તારમાં આ રાજીવ આવાસ યોજનાના ફ્લેટ તૈયાર કરવાના હતા પરંતુ પાલિકાના જે તે સમયના અણધડ વહીવટને કારણે પાલનપુરના હરીપુરા વિસ્તારમાં તૈયાર કરવાની આ આવાસ યોજના પાલનપુર નજીક સદરપુર ગામની ગૌચરની જમીન કે જે જમીન ગટર વ્યવસ્થાપન માટે ફળવાઈ તેમાં તૈયાર કરી દીધી.અને તે પણ હેતુફેર કર્યા વિના.જોકે રાજીવ આવાસ યોજના તૈયાર તો થઈ ગઈ પરંતુ હેતુફેર ન થતા છેલ્લા આઠ-આઠ વર્ષથી તૈયાર થયેલી આ રાજીવ આવાસ યોજના ખોરંભે ચઢી છે.અને મોટાભાગના મકાનો તો તૂટી પણ ગયા છે.
જોકે પાલિકાની આ બેદરકારીને કારણે સરકારના તો કરોડો રૂપિયાનું ધુમાડો થયો જ છે પરંતુ વર્ષ 2019માં આ રાજીવ આવાસ યોજનામાં મકાન મેળવવા માંગતા પાલનપુરના કેટલાક સ્લમ પરિવારોએ પાલનપુર નગરપાલિકામાં રજીસ્ટ્રેશન સાથે સાત સાત હજાર રૂપિયા ફી ભરી હતી જોકે પાલિકાની બેદરકારીને કારણે આ રાજીવ આવાસ યોજના સાત સાત હજાર રૂપિયા ભરનાર આ સલમ પરિવારોને ન તો ઘર મળ્યા કે ન તેમના ભરેલા પૈસા પરત અને તેને જ કારણે રોજ કમાઇ રોજ ખાનારા અનેક પરિવારોના હાલ બેહાલ બન્યા છે.
આવાસ યોજનાની સ્થિતિને જોતા આ મકાનોમાં આ પરિવારો રહી શકે તેવી સ્થિતિ જ નથી ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી આ આવાસના મકાનો વહેલી તકે તૈયાર કરી લાભાર્થીઓને ફળવાય અથવા તો પછી લાભાર્થીઓએ વર્ષ 2019 માં ભરેલા સાત સાત હજાર રૂપિયા વ્યાજ સાથે પરત કરાય તેવી લાભાર્થીઓ માંગ કરી રહ્યા છે પરંતુ અત્યારે તો પાલિકાની બેદરકારીને કારણે સરકારના કરોડ રૂપિયા અટવાયા છે તો સાથે જ અનેક પરિવારો ના સાત સાત હજાર રૂપિયા અટવાતા લાભાર્થીઓમાં રોશ જોવા મળી રહ્યો છે.
જોકે 6-7 વર્ષથી સ્લમ પરિવારના લોકો પાસેથી સાત હજાર રૂપિયા ઉઘરાવી બેઠેલી પાલિકા આજે પણ આ પરિવારોને રકમ પરત કરવા માંગતી ન હોય તેમ આવા જ લાભાર્થીઓની યાદી તૈયાર કરી પ્રથમ તેમને મકાન આપવાની વાતો તો કરી રહી છે પરંતુ આઠ આઠ વર્ષથી મકાન ન આપી શકનારી પાલિકા હવે ક્યારે આ આવાસ તૈયાર કરે છે અને ક્યારે લાભાર્થીઓને આપે છે તે મોટો સવાલ છે.


