— સરપંચે ગામના 4 શખ્સો સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાવ્યો :
ગરવી તાકાત વડગામ : વડગામ તાલુકાના બાવલચુડી ગામમાં ગટરનું કામ કેમ રીપેર કરતાં નથી તેમ કહી સરપંચ પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે છાપી પોલીસ મથકે ગામના જ 4 શખ્સો સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડગામ તાલુકાના બાવલચુડી ગામના વિનોદભાઇ નરસિંહભાઇ ચૌહાણ રવિવારે સાંજના સાડા સાત વાગ્યાના સુમારે પત્ની ભીખીબેન, દીકરો હાર્દિક, કાકાના દીકરો શૈલેષભાઇ અને તેમના મિત્ર રવિન્દ્રભાઇ ચૌહાણ સાથે ઘરે હાજર હતા.
તે દરમિયાન ગામના જવાનજી કરશનજી ઠાકોર કહેવા લાગેલા કે, કેમ ગટરનું પાણી નીકળે છે અને તમે કેમ રીપેર કરાવતા નથી. જેથી સરપંચ વિનોદ ભાઇએ કહ્યું કે, હાલમાં મંજૂર મળેલ નથી અને સવારમાં નવિન લાઇન નાખવાની છે તેમ કહેતાં તેમની સાથે આવેલ ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા.જેથી સરપંચ વિનોદભાઇએ અપશબ્દો બોલવાની ના કહેતાં તેઓ સરપંચને જાતિ અપમાનિત શબ્દો બોલવા લાગ્યા હતા.
જેથી સરપંચે જાતિ અપમાનિત અપશબ્દો બોલવાની ના કહેતાં ચારેય જણ એકદમ ઉશ્કેરાઇ જઇ સરપંચને આડેધડ શરીર ઉપર ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી શૈલેષભાઇ અને રવિન્દ્રભાઇ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ બનાવને લઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે.
ત્યારબાદ સરપંચ વિનોદભાઇ ચૌહાણે છાપી પોલીસ મથકે ગામના જ અશોકજી સુરાજી ઠાકોર, જેસુંગજી ભીખાજી ઠાકોર, જીગ્નેશજી જવાનજી ઠાકોર અને જવાનજી કરશનજી ઠાકોર સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તસવિર અને અહેવાલ : ફરજાના જુનેજા – વડગામ


