વિજાપુર તાલુકામાંથી છૂટાં પડેલાં કેટલાક ગામોની ભૂસ્તર પાણી અંગે પનોતી બેઠી હોય તેમ લાગે છે. ત્રિકોણીયા પ્રદેશના નામે ઓળખાતા વિહાર-મંડાલી-ચડાસણા-કોલવડા-પિલવાઈ-ફત્તેપુરા-ખણુસા-કોટડી-વેડા-પ્રેમપુરા-આનંદપુરા-મોતીપુરા-કણભા-રામનગર-ખડાત-મહુડી વગેરે ગામોમાં ભૂગર્ભ જળ સપાટી લગભગ 500 ફૂટ નીચે ઉતરી ગઈ છે. જેથી સિંચાઈ-પિયત ખેતી સ્વપ્નવત્ બની ગઈ છે. બે-ત્રણ વર્ષમાં 1000 ફૂટના બોર નિષ્ફળ જાય છે. કિસાન અને ખેતમજૂર બેહાલ છે.
આ પરિસ્થિતિ સુધારવા ગામ તળાવો ભરવાની યોજના સરકારએ અમલમાં મૂકી છે. ભાજપ-કોંગ્રેસની નેતાગીરી આ વિસ્તારનાં તળાવ ભરવા અંગે નિષ્ફળ નીવડી છે. 2000 ના વર્ષમાં ધારાસભ્ય મંગળભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલ ગામતળાવો ભરાવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અન્ય અનેક નેતાઓએ તળાવ ભરવાનાં ઠાલાં વચનો આપ્યાં હતાં. પરંતુ 21 વર્ષથી આ યોજના સાકાર થઈ શકી નથી.
હવે અતિ સંવેદનશીલ ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગે ચડાસણાથી પ્રેમપુરા સુધી આવતાં ફત્તેપુરા-પિલવાઈ-વેડા-મોતીપુરા-આનંદપુરા વગેરે ગામોની પાઈપલાઈન નાખવાનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. પાઈપલાઈન નાંખવા માટે ખોદેલી માટીના ડુંગરો હાલ નજરે પડે છે. ખેડૂતોને અપાતાં જમીન વળતર કે પાક વળતર અંગે કોઈ જ કામગીરી પણ કરવામાં આવતી નથી. બે-બે સિઝનથી ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું છે અને તળાવ તો ભરાય ત્યારે ખરાં.!
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રવક્તા રાકેશ પ્રજાપતિ જણાવે છે કે ભાજપે કરેલાં વાયદા 25 વર્ષે પણ પૂરાં થાય તેમ લાગતું જ નથી. તેથી કિસાન અને ખેતમજૂરનું આંદોલન થવાના ભણકારા વાગી રહ્યા છે અને એના અણસાર આ આંધળી સરકારને કરાવવાં જ રહ્યા. જો કોરોનાના કપરા કાળમાં આ સીમના ગામ તળાવો નહીં ભરાય તો કિસાન અને ખેતમજૂર પાયમાલીના આરે છે. મતદાનથી અળગા રહેવાનું વિચારતાં આ નાગરિકો પાણી પુરવઠા વિભાગ અને સરકારશ્રી સામે બાંયો ચડાવી રહ્યાં છે. પ્રજાના પ્રાણપ્રશ્નોને વાચા આપવા અને જનકલ્યાણના સેવાકીય કાર્યો માટે અવિરત સક્રિય એવા આમ આદમી પાર્ટી-માણસાના કાર્યકર મિત્રોએ આ સમસ્યાના નિરાકરણ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સરકારશ્રી સામે આ મુશ્કેલી સબબ રજૂઆત કરી નિવારણ કાજે પ્રયાસ-પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે અને જો સમયસર ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તાલુકા પ્રમુખ જીગરભાઈ ચૌધરીએ ઉચ્ચારી હતી