— શહેરમાં મહીધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ખેપ મારનાર ખેપિયાની અજાણ્યા આરોપીઓએ ચપ્પુના 3 ઘા મારીને હત્યા કરી :
— આ હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દારૂના ખેપિયાને દોડાવી-દોડાવી ચપ્પુના ઘા મારવાનો સામે આવ્યું છે :
ગરવી તાકાત સુરત : શહેરમાં મહીધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ખેપ મારનાર ખેપિયાની અજાણ્યા આરોપીઓએ ચપ્પુના 3 ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દારૂના ખેપિયાને દોડાવી-દોડાવી ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પગના ભાગે ચપ્પુના 3 ઘા માર્યા હતા. જે ઘટનામાં પોલીસે ગણતરી ના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
સુરતના મહીધરપુરામાં રૂધનાથપુરા વિસ્તારમાં મુછાળા શેરીમાં રવિવારે રાત્રે દારૂના ખેપિયા સાહિલ પોટલાની અજાણ્યાઓએ હત્યા કરી હતી. સાહિલને પગના ભાગે ચપ્પુના 3 ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી. કોઈકે 108ને જાણ કરતા સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. વધારે લોહી વહી જવાથી તેનું મોત થયું હોવાની સંભાવના છે. બનાવ બનતા મહીધરપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન રવિવારે રાત્રે નવ વાગ્યે સાહિલ ઘર નજીક હતો. દરમિયાન મોપેડ પર આવેલા બેથી ત્રણ હુમલાખોરોએ ઉપરાછાપરી ચપ્પુના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. જેના પગલે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. દારૂની ખેપ મારતા ખેપિયાની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા હાલ તો પોલીસ સેવી રહી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે.
ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી નિખિલ રાઠોડને ઝડપી પણ લીધો છે. જેની પૂછપરછ દરમિયાન તેની અગાઉ મૃતક સાહિલ સાથે ઝગડો થયો હતો. જેની અદાવતમાં તેને સાહિલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે પોલીસે નિખિલને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


