રાજસ્થાનમાં 19 નવા જિલ્લાઓની રચના કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોત
આઝાદી બાદ પ્રથમ વખત રાજયમાં એક સાથે 19 નવા જિલ્લાઓની રચના
જયપુર, તા. 18 : રાજસ્થાનમાં આ વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક મોટા રાજકીય દાવમાં આઝાદી બાદ પ્રથમ વખત રાજયમાં એક સાથે 19 નવા જિલ્લાઓની રચના કરીને જબરૂ રાજકીય તોફાન મચાવી દીધુ છે અને તેને ગેહલોતનો માસ્તર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યો છે. હાલમાં રજૂ કરેલા બજેટમાં તેઓએ જે જોગવાઇઓ કરી છે તેમાં અનેક નવી જોગવાઇઓથી તેઓએ લોકોને ચૂંટણીના વર્ષમાં લોકપ્રિય બજેટ આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હવે આઝાદી સમયે રાજસ્થાનમાં 26 જિલ્લા હતા અને બાદમાં 33 થયા હતા. 
તેમજ તેઓએ વધુ 19 જિલ્લાઓની રચના જાહેર કરીને તેમના કોંગ્રેસના વિરોધી ખાસ કરીને સચિન પાયલોટ અને આગામી સમયમાં સતા માટે પ્રયત્ન કરી રહેલા ભાજપને પણ ચીત્ત કરી દીધા છે. ગેહલોતે આ ચાલની કોઇને ગંધ આવવા દીધી ન હતી. ખાસ કરીને જે વિસ્તારમાં કોંગ્રેસ નબળી છે ત્યાં તેઓએ જિલ્લા વિભાજન કરીને લોકોને માટે નવા જિલ્લા મથકો અને નવી સુવિધા તેમના આંગણે આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે તેમના માટે 2000 કરોડનું પણ બજેટ ફાળવ્યું છે. ગેહલોતે પોતાના પગલાને યોગ્ય ગણાવતા કહ્યું કે 30 વર્ષમાં રાજયમાં વસતિ બમણી થઇ છે
પણ ફકત સાત જિલ્લા વધ્યા છે. 2008 બાદ એક પણ નવો જિલ્લો બનાવાયો નથી અને તેથી લોકોની અપેક્ષાઓને પણ અમે ધ્યાનમાં રાખ્યા છે. ગેહલોતે આ ઉપરાંત પોતાની બોડી લેન્વેંજમાં આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. મોવડી મંડળને પણ સંદેશો મોકલી દીધો છે કે રાજસ્થાનમાં બોસ તે જ રહેશે અને તેના કારણે સચિન પાયલોટ જુથને મોટો આંચકો આપી દીધો છે. ગેહલોતે આ ઉપરાંત રાજયમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકાર પર દોષ ઢોળતા જાહેર કર્યુ કે મોદી સરકાર એ આ યોજનાને સમર્થન આપવું જ પડશે.


