ગરવી તાકાત થરાદ : સમગ્ર બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી ની કાર્યકર અને તેડાગર બહેનો વિવિધ મંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહી છે,જેમાં સરહદી સુઇગામ તાલુકાની બહેનોએ ગત 5 સપ્ટેમ્બરે સુઇગામ મામલતદાર,પ્રાંત કલેકટર અને TDOને આવેદનપત્ર આપ્યું હતું,અને માંગણીઓ સંદર્ભે કોઈ ઉકેલ ના આવે તો 7 તારીખથી હડતાળ કરવાનું નકકી થયું હતું,બાદ જીલ્લા કલેક્ટરશ્રીને પણ લેખિત રજુઆત કરાઈ ન હતી,તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ના આપતાં રવિવારે નડાબેટ ખાતે એકઠા થઇ સોમવારે ઉપવાસ આંદોલન કરવા માટે નડેશ્વરી માતાજીની સાક્ષીએ બધી બહેનોએ શપથ લીધી હતી,
જેના પગલે સોમવારે સમગ્ર સુઇગામ તાલુકાની આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોએ સુઇગામ સેવા સદન ખાતે પહોંચી હમારી માંગે પુરી કરો વરના ખુરશી ખાલી કરોના નારા સાથે ભૂખ હડતાળ આદરતાં સમગ્ર વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે,આંગણવાડીની બહેનોએ ભૂખ હડતાળ આદરતા વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરે પણ બહેનોની મુલાકાત લઈ વિવિધ માંગણીઓ જાણી તેમને સમર્થન આપ્યું હતું,બાદ આપ પાર્ટીના ડો.ભીમ પટેલે પણ ઉપવાસ આંદોલન કરી રહેલી બહેનોની મુલાકાત લઈ સમર્થન આપ્યું હતું,આમ આંગણવાડીની કાર્યકરોની માંગ બુલંદ બની છે,
વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે,ત્યારે આશા વર્કરો,આંગણવાડી કાર્યકર બહેનો સહિત વિવિધ માંગણીઓ મુદ્દે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે,ત્યારે આવા નાના કર્મચારીઓની સાથે રહી વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સમર્થન કરી સરકાર સામે બાથ ભીડવાની તક ઝડપી રહી છે,જેને લઈ આવા આંદોલનો હવે રાજકીય રંગ પકડી રહ્યા છે,જોકે ભૂખ હડતાળ દરમ્યાન મોરવાડા સેજાની વીણાબેન પંડ્યા નામની કાર્યકર બહેનની તબિયત લથડતાં તાત્કાલિક 108 મારફતે સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા….અહેવાલ.. નવિન ચૌધરી.. સુઇગામ
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ