-> અતિવૃષ્ટિના કારણે નુકસાનગ્રસ્ત થયેલા પાકનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું: સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો
-> સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ: સરકાર હંમેશાં ખેડૂતોની પડખે ઊભી છે :- મંત્રીશ્રી રાઘવજી પટેલ
ગરવી તાકાત બનાસકાંઠા : કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેતી પાકોનું નિરીક્ષણ કરીને ગ્રામ લોકો સાથે સંવાદ કર્યો હતો.

-> મંત્રીશ્રીની થરાદ તાલુકાના ખાનપુર ગામની મુલાકાત :- મંત્રીશ્રી રાઘવજી પટેલે થરાદ તાલુકાના ખાનપુર ગામની મુલાકાત લીધી હતી. તેમણે ખાનપુર ગામના ખેડૂત રમેશભાઈના ખેતરની મુલાકાત લઈને અતિવૃષ્ટિના કારણે નુકસાનગ્રસ્ત થયેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાકની વાસ્તવિક સ્થિતિ અંગે સીધો ખેડૂત પરિવાર સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને અતિવૃષ્ટિ કે કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને થયેલ નુકસાનની સહાય ચૂકવવા માટે ઝડપી પગલા લેવામાં આવશે. મંત્રીશ્રીએ થરાદ સ્થિત નર્મદા કેનાલની વિઝિટ કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી પરબત પટેલ, સ્થાનિક ખેડૂતો સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-> મંત્રીશ્રીએ સરહદી વાવ અને સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી :- મંત્રીશ્રી રાઘવજી પટેલે સરહદી વિસ્તાર વાવ તાલુકાના ભાટવર અને સુઈગામ તાલુકાના કોરેટી અને ભરડવા ગામની મુલાકાત લીધી હતી. તેમણે અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેતરોની વિઝિટ કરીને સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની પડખે ઊભી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારના ખેડૂતોની ચિંતા કરીને તમામ પ્રકારની સહાય ચૂકવવા જણાવ્યું છે. સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તથા સરકારશ્રી દ્વારા ખેડૂતોને તમામ પ્રકારની સહાયની મદદ કરવા માટે કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક ખેડૂતોએ મંત્રીશ્રીને વરસાદી આફતની ઘટનાઓ અને નુકસાન અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે વાવ ધારાસભ્યશ્રી સવરૂપજી ઠાકોર સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


