શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા શ્રી રામનવમીની વિશાળ રથયાત્રાની તડામાર તૈયારીઓ
મહેસાણાના તોરણવાળી ચોકમાંથી ગુરુવારે બપોરે બે વાગ્યે સાધુ સંતો અને રાજકિય આગેવાનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાશે
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા આગામી 30-3-2023 ગુરુવારના રોજ શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે પરંપરાગત 42મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા શહેરમાં ભગવાન શ્રી રામની નીકળનારી ભવ્ય શોભાયાત્રાની શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ ડો. જી.કે.પટેલ સહિત આગેવાનો અને રામ સેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ રથયાત્રાના પ્રસ્થાન સમારોહમાં અગ્રણી નેતાઓ, પૂજ્ય સાધુ સંતો અને અગ્રણી મહાનુભાવિો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. 
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, લોકસભાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, મહામંત્રી ભાજપ ગુજરાત પ્રદેશના રજનીભાઇ પટેલ, તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. શ્રી રામ રથયાત્રાનું બપોરે ર વાગે તોરણવાલી માતાના ચોક ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. મહેસાણા શહેરમાં ચાર દશકાથી નિરંતર પરંપરાગત રીતે શ્રી રામનવીમના પવિત્ર દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની વિશાળ રથયાત્રા નીકળે છે.
મહેસાણામાં શ્રી રામ જન્મોત્સવ ની તડામાર તૈયારી સમગ્ર શહેરમાં ધજા પતાકા સાથે અંબાજી પરાનું રામ મંદિર લાઈટિંગથી શણગારવામાં આવશે. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત, ઠંડાપીણા, શરબતો, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આગામી તારીખ 30 ના રોજ મર્યાદા પરૂષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવની મહેસાણા શહેરમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળશે. જેમાં રથ, ઘોડા, ઉટ ગાડી, શણગારેલા ટેકટરો, ગદા, ટોપ, ધનુષ્ય, વિવિધ વિસ્તારો માં ફ્લોટ બનાવવામા આવી રહ્યા છે. ઠેર ઠેર શોભાયાત્રાનું અબીલ ગુલાલ ફૂલ ચોખાથી સ્વાગત કરવામાં આવશે. શહેરના વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા, શરબતો, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાના દર્શન કરવા મહેસાણા તાલુકાના આસપાસના ગામોમાથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે શોભાયાત્રા સાથે મોટી સંખ્યામાં પોલીસ, હોમગાર્ડના જવાનો બંદોબસ્ત રહેશે.


