મહેસાણા પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સ્વામી વિવેકાનંદ લેકના બ્યુટિફિકેશન બાદ પણ બિસ્માર હાલત
આ મામલે વિરોધ પક્ષનો પાલિકા એજન્સીને છાવરી રહી હોવાનો આક્ષેપ
મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પૈસાનો વેડફાટ ક્યારે અટકાવશે?
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – લાખો રૂપિયાના ખર્ચે મહેસાણાના સ્વામી વિવેકાનંદ લેકના બ્યુટિફિકેશન બાદ પણ હાલ આ લેકની હાલત બિસ્માર થવા ગઈ છે. મહેસાણાના મધ્ય એવા પરા વિસ્તારમાં આવેલા વિવેકાનંદ લેકને પાલિકા દ્વારા લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરાવીને ખાનગી એજન્સીને સંચાલન કરવા આપ્યું હતું. પણ એજન્સીને માત્ર પૈસા કમાવવામાં જ રસ હોય તે પ્રકારના દૃશ્યો પરાના સ્વામી વિવેકાનંદ લેકમાં જાેવા મળી રહ્યા છે. અહીં બાળકો માટે રાખવામાં આવેલા રમતગમતના સાધનો લોહીલૂહાણ કરે એટલી ખરાબ હાલતમાં, લેકમાં ક્યાંક વોક-વે જ ગુમ થઈ ગયો છે. અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકી દેખાય છે.

મહેસાણાના મધ્ય અને શહેરના મુખ્ય વિસ્તાર એવા પરા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ લેકને મહેસાણા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. આ તળાવને બ્યુટિફિકેશન કરવાનો મુખ્ય ઉદ્દેશ મહેસાણાની સ્થાનિક જનતાને હરવાફરવા લાયક સ્થળ મળી રહે તે હતો. પરંતુ લાખોના ખર્ચ કર્યા બાદ ખાનગી એજન્સીને સંચાલન કરવા આપેલા આ લેકની હાલત હાલ બિસ્માર જાેવા મળી રહી છે. તળાવ મામલે વિરોધ પક્ષ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યું છે.

તળાવમાં ક્યાંક લાઈટના થાંભલા છે. તો લાઈટો નથી અને બાળકોને રમવા માટે બનાવેલા અને રમકડાંઓ તૂટેલી હાલતમાં જાેવા મળી રહ્યા છે. કોઈ સાર સંભાળ અને નિભાવ વગર હાલમાં આ લેકની હાલત ખૂબ જ બિસ્માર થવા ગઈ છે. વોક વે પર ઝાડી ઝાંખરા જાેવા મળી રહ્યા છે, તો પબ્લિકની સવલત માટે બનાવેલા શૌચાલયમાં મસમોટા તાળા લટકતા જાેવા મળી રહ્યા છે. તળાવમાં બોટિંગ શરૂ કરવાની વાતો વચ્ચે હાલમાં આ લેકમાં જંગલી વેલનો જમાવડો જાેવા મળી રહ્યો છે. તળાવના અડધા કરતાં વધુ ભાગમાં હાલમાં જંગલી વેલો ઉગી ગયેલી હોવાનું જાેવા મળી રહ્યું છે. આ મામલે વિરોધ પક્ષ પણ નગરપાલિકા એજન્સીને છાવરી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યું છે. તો બીજી તરફ આ સ્વામી વિવેકાનંદ લેકની આ હાલતના કારણે સહેલાણીઓ પણ આવવાનું ટાળી રહ્યા છે.
પાલિકાના સત્તાધીશો પ્રજાના પૈસાનો વેડફાટ ક્યારે અટકાવશે?
એક તરફ તો મહેસાણાના શહેરીજનો પાસેથી વેરો ઉઘરાવવામાં આવે છે, તો બીજી તરફ પ્રજાના વેરાના આ નાણાં વ્યય થતાં હોય તેવા દૃશ્યો મહેસાણાના આ સ્વામી વિવેકાનંદ લેકમાં જાેવા મળી રહ્યા છે. પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માની લેતું હોય તે પ્રકારના દૃશ્યો જાેવા મળી રહ્યા છે. હવે જાેવું રહ્યું કે ક્યારે નગરપાલિકાના સત્તાધીશો પ્રજાના આ પૈસાનો વ્યય થતો અટકાવી માત્ર પૈસા કમાવાની નીતિ સાથે ચાલતી આવી એજન્સીઓ સામે લાલ આંખ કરી યોગ્ય કાર્યવાહી કરે છે.


