દર મહિને 15 અજવાળી રાતોમાં સ્ટ્રીટલાઈટ બંધ રાખવાની માંગ
પ્રાણીઓને ગીર અભ્યારણમાં સ્થળાંતર કરાવવાનું સુચન કરાયું
ગરવી તાકાત, ગાંધીનગર તા. 20 – ગુજરાત વિધાનસભામાં કલાયમેટ ચેન્જ સંબંધી ચર્ચા દરમ્યાન મહિનામાં 15 અજવાળી રાતો દરમ્યાન સ્ટ્રીટલાઈટ બંધ રાખવાનું સૂચન ભાજપના ધારાસભ્યએ કર્યુ હતું. જયારે અન્ય એક ધારાસભ્યએ ડીજે પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. 
માંડવીના ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વિધાનસભામાં કલાયમેટ ચેન્જની ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે, દર મહિને 15 અજવાળી રાતોમાં સ્ટ્રીટલાઈટ બંધ રાખવાની માંગ ઉઠાવી હતી. આ જ રીતે કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કહ્યું કે, લગ્ન સમારોહમાં ડીજે પર પ્રતિબંધ મુકવો જોઈએ ડીજેથી અવાજનું પ્રદુષણ સર્જાય જ છે. ઉપરાંત આદિવાસી સંસ્કૃતિને નુકશાન કરે છે. લગ્નોમાં આદિવાસીઓના પરંપરાગત ડાન્સ તથા ગીતનું મહત્વ હોય છે પરંતુ ડીજેને કારણે તેનું આકર્ષણ ઓછુ થવા લાગ્યુ છો.
બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નીલગાય જેવા પ્રાણીઓને ગીર અભ્યારણમાં સ્થળાંતર કરાવવાનું સુચવ્યુ હતું. ખેતરો-ખેડુતોની સમસ્યા તેનાથી દુર થઈ શકે. નીલગાય જેવા પ્રાણી ખેતરોમાં મોટુ નુકશાન સર્જતા હોય છે. ઉપરાંત સિંહોને પણ મારણ મળી જતા તે અભ્યારણની બહાર નીકળતા અટકશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ચર્ચા દરમ્યાન ખેતરો ફરતે વૃક્ષારોપણ માટે સબસીડી આપવાની માંગ કરી હતી.


