24 કલાકની જહેમત બાદ યુવકની લાશ તળાવમાં મળી આવી
મલેકપુરના 3 મિત્રો મજૂરી કામે જઇ ઘરે પરત ફરતી વખતે ઠાકોર મુકેશજી નામનો યુવક ન્હાવા પડ્યોં હતો
મોડે સુધી યુવક ઘરે પરત ન ફરતાં અન્ય બે મિત્રોને પુછતાં તે ન્હાવા માટે રોકાયો હોવાની વાત કરી હતી
ગરવી તાકાત, ખેરાલુ તા. 09 – રંગોત્સવના પર્વ એવા ધૂળેટીનો દિવસ ગુજરાતમાં ગોઝારો સાબિત થયો હતો. ગત રોજ ગુજરાતના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારની નદી તેમજ કેનાલમાં 11 વ્યકિતઓના ડૂબી જવાથી મોત થયા હતા. આ દરમિયાન ખેરાલુ તાલુકાના હિરવાણી ગામે પણ ન્હાવા માટે પડેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે મલેકપુરનો યુવક નાની હિરવાણી ગામના તળાવમાં ડૂબવાની ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચ્યાં હતા. 
ખેરાલુ તાલુકાના મલેકપુર ગામનો યુવક સહિત ત્રણ મિત્રો કામે ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે મલેકપુર ગામનો 35 વર્ષનો યુવક ઠાકોર મુકેશજી મણાજી વચ્ચે આવતાં નાની હિરવાણી ગામના તળાવમાં ન્હાવાં માટે પડ્યોં હતો જ્યારે તેના બે મિત્રો ઘરે જવા નીકળી ગયા હતા. આ દરમિયાન મોડી સાંજ થવા છતાં ઠાકોર મુકેશજી ઘરે પરત ન ફરતાં પુછપરછ દરમિયાન અન્ય બે યુવકો દ્વારા જાણવા મળ્યું હતું કે નાની હિરવાણી ગામે તળાવમાં ન્હાવા માટે ઠાકોર મુકેશજી ગયો હતો જ્યાં જઇ પરિવારજનોએ તપાસ કરતાં મુકેશજીના ચપ્પલ તળાવ બહારથી મળી આવતાં તે પાણીમાં ડૂબી ગયો હોવાનું જણાતાં તાત્કાલિકા મહેસાણા અને ઊંઝા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ઠાકોર મુકેશજીની લાશ શોંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 24 કલાક બાદ ઠાકોર મુકેશની લાશ તળાવમાંથી મળી આવી હતી.
યુવક તળાવમાં ડૂબી જવાની ઘટનાને પગલે મલેકપુર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ત્રણ બાળકોના પિતાનું ડૂબી જવાથી મોત થતાં ત્રણ બાળકો નોંધારો બન્યાં હતા. જો કે આ ઘટનાને પગલે મલેકપુર ગામ સહિત નાની હિરવાણીના ગ્રામજનોના ઘટના સ્થળ પર ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા.


