ગરવી તાકાત, મહેસાણા તા. 11- મહેસાણા શહેરમાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા કારીગરો વિઘ્નહર્તા ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી મૂર્તિઓ બનાવી તેન રંગવાની અને શણગાર કરવાના કામમાં લાગી ગયા છે. માટીમાંથી કાનુડો, દશા માતાજી સહિત અન્ય ચીજવસ્તુઓ બનાવે છે. આજે પણ વર્ષોથી માટીમાંથી વિવિધ વસ્તુ બનાવવાની બાપદાદાની પરંપરા તેઓએ જાળવી રાખી છે.
હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોમાં આ માટીકામનાં કારીગરો વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, હમણાં જ દશામાંના વ્રતમાં આ કારીગરોએ માટીમાંથી માતાજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી અને હવે આગામી ભાદરવ સુદ ચોથના દિવસે ગણપતિ ભગવાનની આરાધનાનું પવિત્ર પર્વ ગણેશચતુર્થીનો તહેવાર આવી રહ્યો હોય માટીકામના કારીગરોએ માટીમાંથી ગણપતિ દાદાની વિવિધ મુદ્રાઓવાળી મૂર્તિઓ બનાવી છે અને હાલમાં આ મૂર્તિઓને રંગવાની અને શણગાર કરવાના કામમાં લાગી ગયા છે.

હાલ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવતા તેઓ પી ઓ પીની જગ્યાએ માટીમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેથી અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવતા હોવાથી તેમજ માટીમાંથી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગતો હોવાથી 3 મહિનાથી ગણેશની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવું પડે છે. રૂ 100 થી લઈ 10 હજાર રૂ સુધીની માટીની વિવિધ શણગાર વાળી મૂર્તિઓ બજારમાં વેચાણ માટે મુકાઈ છે.

મૂર્તિકારના જણાવ્યાં અનુસાર સૌ પ્રથમ તળાવમાંથી ચીકણી માટી લાવીએ છીએ, તેને થોડા દિવસ પાણીમાં પલાળવામાં આવે છે પછી તેને ચારણી વડે ચાળી લઈ માટીને ખૂદી તેયાર કરવામાં આવે છે, પછી તે માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે.

ગણેશચતુર્થીને લઈ કારીગરો ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે, જેમાં લાલબાગ કા રાજા, બાહુબલી અવતાર, ગણપતિ સિહાસન, શંખ, ડમરુ, શેષનાગ પર બિરાજમાન હોય તેવી વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે.

એક મહિનાથી માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ. હાલમાં મોડી રાત સુધી રંગરોગાન કરી રહ્યા છીએ. માટીની મૂર્તિઓની માંગ વધુ છે. હાલમાં 80 ટકા જેટલી માટીની મૂર્તિનું બુકિંગ થયું છે, આગામી સમયમાં બુકિંગ વધશે. અંદાજે 1000 જેટલી માટીની નાની મોટી મૂર્તિનું બુકિંગ થયું છે.



