બે ટ્રસ્ટીઓએ સોનં કોને વેચ્યું તેમાંથી મળેલા નાણાંનું શું કર્યો તે જવાબ મેળવવામાં પોલીસ નિષ્ફળ
બે ટ્રસ્ટીઓએ ભગવાનને ભેટમાં અપાયેલા સોનામાંથી 700-800 ગ્રામ વરખની ચોરી કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા.12 – મહુડી જૈન તીર્થમાં શ્રધ્ધાળુઓએ ચડાવેલા સોનાના વરખની ચોરી કર્યા બાદ આરોપી ટ્રસ્ટીઓએ તેને વેચી દીધુ હોવાનો ખૂલાસો પોલીસ તપાસમાં થયો હતો.પણ આ સોનું કોને વેંચ્યુ અને તેમાંથી મળેલા નાણાંનું શુ થયું તેનો જવાબ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. 
મહુડી ખાતે આવેલા જૈન તીર્થના બે ટ્રસ્ટીઓએ ભગવાનને ભેટમાં અપાયેલા સોનામાંથી 700-800 ગ્રામ વરખની ચોરી કરી લાખો રૂપિયાની રોકડી કરી લેવાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ટ્રસ્ટના આઠ ટ્રસ્ટીઓ પૈકી ભૂપેન્દ્રભાઈ વોરાની ફરિયાદના આધારે માણસા પોલીસે ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતાની ધરપકડ કરી હતી. કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચને સોંપાતા પોલીસે બન્ને આરોપીને કોર્ટમાં રજુ કરી 11 એપ્રિલ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા.
ગાંધીનગર એલીસીબીની ટીમ સોનાના વરખની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળ રહેશે તેવી આશા હતી સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર રીમાન્ડ દરમ્યાન આરોપીઓએ સોનુ વેંચી દીધુ હોવાનું જણાવ્યું હતું કે વરખને ગાળીને બન્ને આરોપીએ માણેક ચોકનાં વેપારીને વેચી દીધુ હોવાનું કહ્યું હતું. આરોપીઓએ જણાવ્યા મુજબના વેપારીની શોધ કરવા પોલીસ માણેકચોક દોડી ગઈ હતી. પરંતુ આરોપીએ જણાવ્યા મુજબના વેપારી મળી આવ્યા ન હતા.
બાદમાં આરોપીઓએ પોલીસ પૂછપરછ દરમ્યાન ફેરવી તોળતા જણાવ્યું હતું કે તેમણ મહુડીના વેપારીને સોનુ વેંચ્યુ હતું. જોકે મહુડીના વેપારીનો પત્તો પણ મળ્યો ન હતો. તેમણે 800 ગ્રામના બદલે 400 ગ્રામ સોનુ જ ચોરીને વેચ્યુ હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે ફરી તપાસની દિશા બદલી હતી અને આ નાણાનો ઉપયોગ કયાં થયો તે શોધવા કવાયત હાથ ધરાઈ હતી. સોનુ વેચીને આવેલા લાખો રૂપિયા બેંકમાં મુકાયા કે અન્ય કોઈ જગ્યાએ રોકાણ થયુ તે શોધવાના પ્રયાસ સફળ થાય તે પહેલા આરોપીનાં રીમાન્ડ પુરા થઈ ગયા હતા. હવે પોલીસ દ્વારા આરોપીઓની મીલકત આર્થિક વ્યવહારો અને બેંક ખાતાની તપાસ કરાશે.


