— જીજ્ઞેશ મેવાણીએ ભાજપના કરસન સોલંકીને કહ્યું હું તો જોટાણાના મરચા કરતાં પણ વધુ તીખો છું :
— જિજ્ઞેશ મેવાણીના પ્રહારો પર ત્યા હાજર કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ વિરોધ દર્શાવ્યો :
ગરવી તાકાત, મહેસાણા તા. 10- મહેસાણા નજીક જોટાણા ગામે ડો. આંબેડકરની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યાં આંબેડકરની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. જેમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી અને ભાજપના કરસન સોલંકી વાકયુદ્ધ છેડાયું હતું. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને રોકડુ પરખાવ્યુ હતું કે, હું તો જોટાણાના મરચા કરતા પણ તીખો છું. 
જોટાણમાં આંબેડકરની પ્રતિમાનો અનાવરણ પ્રસંગ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં 150 થી વધુ સફાઈ કામદારોના મોત થયા છે. છતા સરકારને કંઈ પડી નથી. વંચિત સમાજના ઉત્કર્ષ માટે ભાજપ સરકાર કંઈ ફાળવતી નથી. મહીસાગરમાં પછાત વર્ગની મહિલાની લાશ 11 દિવસ પડી રહી છતા ન્યાય ન મળ્યો. ભાજપના શાસન પર તેમના પર અત્યાચાર વધી રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીના પ્રહારો પર ત્યા હાજર કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જિજ્ઞેશ મેવાણીએ સરકાર વિરોધી ભાષણ આપતા અટકાવ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, આવી વાત કરતો નહિ.
ત્યારે આ જોતા ચાલુ સમારોહમાં જોવા જેવી થઈ હતી. ભાષણ અટકાવતા જ જિજ્ઞેશ મેવાણી ગિન્નાયા હતા. તેમણે જાહેર મંચ પરથી કહી દીધું હતું કે, કરસન કાકા, હું જોટાણાના મરચા કરતા ય તીખો છું. તમે નહિ, સરકાર પણ મને બોલતા અટકાવી નહિ શકે. હું પ્રજા દલિત સમાજની વાત કરી રહ્યો છું.


