દાંતાના પર્વતીય વિસ્તારમાં આંબાના વૃક્ષોની કેરી ખરી પડતા આશા ઉપર પાણી ફરી વળ્યુ :પાકને નુકશાન
અંબાજી હડાદ, પોશીના, દાતા, કુવારસી, અમીરગઢ જેવા વિસ્તારોમાં ૫ હજાર જેટલા આદિવાસી લોકો આ કેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે
ગરવી તાકાત, દાંતા તા. 01- દાંતા તાલુકાના પર્વતીય વિસ્તારને મીની જુનાગઢ કહેવાય છે કારણ કે આ પર્વતીય વિસ્તારમાં ૫૦ હજાર જેટલા આંબા પર કેરીનો પાક ઉતરે છે અને ૫ હજાર જેટલા આદિવાસી લોકો આ કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ કમોસમી વરસાદે આ વર્ષે કેરીના પાકમાં ૫૦ થી ૬૦ ટકા જેટલું નુકસાન કર્યું છે જેને લઈને આદિવાસી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા દાતા તાલુકામાં પર્વતીય વિસ્તારમાં કેરીનો મતલબ પાક થાય છે. જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોએ આંબાના વૃક્ષોનું જતન કરી અને આ ૫૦ હજાર જેટલા આંબા ઉપરથી કેરીઓનો પાક લેતા હોય છે. પાંચ હજાર જેટલા આદિવાસી લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ આ વર્ષે કેરીના પાકમાં ૫૦ થી ૬૦ ટકા જેટલું નુકસાન થયું છે કારણ કે કમુશમી વરસાદ ભારે પવન અને માવઠાથી કેરીને પાક નિષ્ફળ ગયો છે અને જેને લઈને આદિવાસી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પર્વતીય વિસ્તારમાં હજારો આંબાના વૃક્ષો છે અને આંબાના વૃક્ષની કેરીની મીઠાશ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં જાય છે.
આ દેશી આંબાની કેરીના મીઠાસ પાછળનું કારણ એ છે કે પહેલા આદિવાસી લોકો કેરીનો પાક ઉતારે છે અને ત્યારબાદ ખાખરાના વૃક્ષના પત્તામાં કેરીને પકવે છે અને ત્યારબાદ બજારમાં વેચે છે જોકે આ વર્ષે માવઠાથી નુકસાન થવાથી ખેડૂતોને પાક નહીં મળે. અંબાજી હડાદ, પોશીના, દાતા, કુવારસી, અમીરગઢ જેવા વિસ્તારોમાં ૫ હજાર જેટલા આદિવાસી લોકો આ કેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દર વર્ષે પાક લેતા હોય છે અને દાતા અંબાજી સાબરકાંઠા પાલનપુર સિધ્ધપુર ડીસા સહિતના વિસ્તારોમાં વેચતા હોય છે આંબાના એક વૃક્ષ પરથી અંદાજિત ૧૦૦૦ કિલો જેટલી કેરી ઉતરતી હોય છે અને આ આદિવાસી લોકો ૬૦ રૂપિયાના નજીક ભાવે તેને વેચતા હોય છે પરંતુ આ વર્ષે માવઠાથી નુકસાન થવાથી કેરીનો પાક આદિવાસી લોકોના હાથમાં નહીં આવે.