સુધીમાં 85,800 હેક્ટરના સર્વેના લક્ષ્યાંક સામે 15 હજાર હેક્ટરનો સર્વે પૂર્ણ
ઘઉંના દાણા ઉપર સફેદ ડાઘ પડી જવાથી તેના પુરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો મળતાં નથી
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠાના કારણે મોટાભાગના પાકોમાં ભારે નુકશાની થવા પામી છે. જો કે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ વાવણી પાકમાં નુકશાની થવા પામી છે. માવઠા વચ્ચે ગત 19 માર્ચે કલેક્ટરે બેઠક બોલાવી કૃષિ વિભાગે પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા હતા. 14 ટીમો છેલ્લા 6 દિવસથી જિલ્લામાં માવઠાના કારણે થયેલા નુકસાન અંગેનો સર્વે કરી રહી છે. 
ઘઉંના દાણા ઉપર સફેદ ડાઘ પડી જવાથી તેના પુરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો નહી મળવાથી ખેડુતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ જવાની ચિંતા ધરતી પૂત્રોની સતાવી રહી છે. ઉપરાંત જે ખેડુતોએ શિયાળું પાકમાં ઘઉંનું મોડું વાવેતર કરવામાં આવ્યું છે. તેવા કાચા ઘઉંના છોડ વાવાઝોડાના કારણે આડા પડી ગયા છે. શિયાળુ સિઝનના અંતે 66,900 હેક્ટરમાં વાવેતર થયેલા ઘઉંના પાક, ઉપરાંત તમાકુનું 15,700 હેક્ટર અને વરિયાળીનું 3200 હેક્ટરમાં થયેલા વાવેતરને આવરી લેવાયો છે. અત્યાર સુધીમાં 85,800 હેક્ટરના સર્વેના લક્ષ્યાંક સામે 15 હજાર હેક્ટરનો સર્વે પૂર્ણ થયો છે.
15 હજાર હેક્ટરના સર્વેમાં મોટાભાગે કમોસમી વરસાદના કારણે પાકની ગુણવત્તા બગડી હોવાનું સામે આવ્યું છે. એટલે કે, ખેડૂતોને બજારભાવ કરતાં ઓછો ભાવ મળશે. આગામી 5 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થતાં ખરેખર કેટલું નુકસાન થયું છે તે જાણી શકાશે. બીજી બાજુ, કમોસમી વરસાદનું હાલ પૂરતું સંકટ ટળ્યું છે. પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે હજુ વરિયાળીના પાકને ભૂકી છારો નામનો રોગ લાગવાનો ભય સેવાઇ રહ્યો છે. ત્યારે સરવેની ટીમો સરવેની કામગીરી સાથો સાથ ખેડૂતોને વરિયાળીના પાક પર સલ્ફરયુક્ત દવા છંટકાવ કરવાનો આગ્રહ કરી રહી છે.
કમોસમી વરસાદના 2 રાઉન્ડમાં મહેસાણા જિલ્લામાં સરેરાશ 10 મીમી માવઠાના કારણે કાપણીના આરે આવેલા શિયાળુ પાકને નુકસાન થયું છે. કૃષિ વિભાગે સપ્તાહની શરૂઆતમાં 14 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો છે. 85,800 હેક્ટરના પાકના સર્વેના અંદાજ સામે 15 હજાર હેક્ટરમાં સર્વે પૂર્ણ થયો છે, અત્યાર સુધીના સર્વેમાં પાકની ગુણવત્તા બગડી હોવાનું સામે આવ્યું છે.


