છેલ્લા બે વર્ષમાં ફાયર આર્મ્સને લગતા 1522 કેસોનું ગાંધીનગર FSLમાં સફળતાપૂર્વક પૃથ્થકરણ કરાયું
ગરવી તાકાત, ગાંધીનગર તા. 05 – ગુના ઉકેલવામાં ફાયર આર્મ્સ પરીક્ષણ ખૂબ જ મહત્વનું છે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરના ગંભીર ગુનાઓના કેસોનું સફળતાપૂર્વક પૃથ્થકરણ કરવામાં FSL ગાંધીનગર અગ્રેસર છે. ગુજરાતમાં તારીખ 31 ડિસેમ્બર- 2022ની સ્થિતી એ છેલ્લા બે વર્ષમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL ગાંધીનગરમાં 1522 ફાયર આર્મ્સને લગતા કેસોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. 
તેમ વિધાનસભા ગૃહમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પૂરક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુનાહિત કેસોના ઉકેલ માટે ફાયર આર્મ્સ પરીક્ષણ ખૂબ જરૂરી છે. ઇજા અથવા મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી મળી આવેલ સાધનો-બુલેટ, પિસ્તોલ, દેશી કટ્ટા વગેરે આર્મ્સના પૃથ્થકરણ દ્વારા ગુનો ઉકેલવામાં મદદરૂપ થાય છે.
FSL દ્વારા યોજાતા આર્મ્સ પરીક્ષણમાં પિસ્તોલ, રીવોલવર, રાઇફલ, દેશી કટ્ટા નો સમાવેશ કરાય છે. એફએસએલ દ્વારા પૃથ્થકરણ થકી ગુજરાત અને ગુજરાત બહારના હત્યાના અનેક કેસો ઉકેલીને ગુનેગારને સજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરીક્ષણ અને રિસર્ચમાં રસ ધરાવતા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને FSLની સ્ટડી ટુર કરાવવા પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્યઓને સૂચન કર્યું હતું.


