ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યોં
ગરવી તાકાત, ગાંધીનગર,તા.9 – ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ-બીયરનો જથ્થો પોલીસ જપ્ત કરી કોર્ટ આદેશ મુજબ તેનો નાશ કરે છે. આ દારૂ-બીયરના જથ્થાનો નાશ કરવાના બદલે અન્ય રાજયોમાં વેચી જે આવક થાય તે પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવવા ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સૂચન કર્યું છે. 
લલીત વસોયાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં ગુજરાત રાજયમાં દર વર્ષે પોલીસ દ્વારા લાખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે તાજેતરમાં રાજકોટ પોલીસે વર્ષ દરમ્યાન મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જેને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વોસ કરાયો હતો.
ત્યારે આ મામલે હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં રજૂઆત કરવામા આવી છે કે જપ્ત થયેલા દારૂનો નાશ કરવા કરતા અન્ય રાજયોમાં વેચાણ કરો, જે આવક થાય તેને પોલીસ વેલ્ફેરમાં જમા કરવી જોઈએ. લલીત વસોયાએ પત્રમાં જણાવ્યુ કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટી સરકારના કાયદાનુ કડક પાલન થાય એના માટે પ્રયત્ન કરે છે. છતાંયે રાજયમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બીયર ગુજરાત પોલીસ દ્વારા પકડવામા આવી રહ્યો છે જે આનંદની વાત છે.
ગુજરાત વિધાનસભામાં રાજય સરકારે આપેલા આંકડા મુજબ 2020 અને 21ના વર્ષમાં 215.6252205 કરોડનો વિદેશી દારૂ તથા 16.2005848 કરોડ રૂપિયાનો બીયરનો જથ્થો જપ્ત કરેલ છે.


