ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના બેચરાજી મંદિર હસ્તકના તળાવમાં બજારનો કચરો ઠલવાઇ રહ્યો છે. તેની ફરતે આવેલ દુકાનો ના વહેપારીઓ પણ ગંદકી કરવામાં ઉમેરો કરે છે. દેશ વિદેશમાંથી દર્શનાર્થે પહોંચતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક ગ્રામજનો તળાવમાં થતી ગંદકી અટકાવી તેનો વિકાસ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.
શક્તિપીઠ બહુચરાજી એ સમગ્ર ગુજરાત માં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. માના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો માના દરબારમાં આવતા હોય છે.પરંતુ છેલ્લા ૫ વર્ષ કરતા પણ વધુ સમયથી યાત્રાધામ બહુચરાજી ના વિકાસને જાણે ગ્રહણ લાગી ગયું છે. અનેક ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેકટ માટે ફાળવવામાં આવી પણ સ્થાનિક તંત્રના સમયના વહીવટકર્તા ની ઇચ્છા શક્તિના અભાવે સમય મર્યાદા પૂર્ણ થતાં પરત ફરી છે.
બસ આવી જ પરિસ્થિત બહુચરાજી માતાજીના મંદિર પાસે અડી ને આવેલ અને ગાયકવાડ સરકારે બંધાવેલ અને હાલમાં મંદિર હસ્તકના તળાવની હાલત પણ બદતર થઈ છે કે 2 થી 3 વાર આ ગાયકવાડ તળાવના બ્યુટીફિકેશન માટે ગ્રાન્ટ ફાળવવામાં તો આવી પણ તે સમયના વહીવટકર્તા ઓ ની નિષ્કાળજીનો ભોગ બની તળાવનું કોઈ નવું કામ શરૃ ના થયુ પણ બે વાર ખાત મુહર્ત થયું.


