ગરવી તાકાત આમદાવાદ : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ડેન્ટલ કોલેજ પરના નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. મંત્રીજી રાજ્યમાં હવે એક પણ ડેન્ટલ કોલેજ શરૂ કરવાના મૂડમાં નથી. તેવામાં કોંગ્રેસ તરફથી રાજ્યમાં ડેન્ટલ કોલેજ મામલે બેઠકો વધારવા માંગ કરી છે. બેઠકો ત્યારે જ વધે જ્યારે નવી કોલેજ ખુલે.
ડેન્ટલ કોલેજ મામલે શરૂ થયેલા આ રાજકારણ વચ્ચે તબીબી નિષ્ણાતો કોલેજોની કોન્ટીટી કરતા ક્વોલીટી સુધારવા અપીલ કરી રહ્યા છે. જાણીએ શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ.
હાલમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મંત્રીજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડેન્ટલની હવે વધુ કોલેજ ગુજરાતમાં નહી ખૂલે. PTC કોલેજ જેવા હાલ ડેન્ટલના કરવાના નથી. તેમના મતે રાજ્યમાં આટલા ડોકટર બહુ છે. જેથી હવે ગુજરાતમાં ડેન્ટલની કોલેજ નહીં ખૂલે ડેન્ટલ વિભાગમાં નવી ભરતી કરવામાં આવશે. ડેન્ટલના ઉમેદવારોને મેરિટના આધારે તક આપવામાં આવશે. જોકે, મંત્રીજીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, સરકાર પાસે ડેન્ટલ માટે 250 બેઠક સરકારી છે. બીજી અન્ય બેઠકો ખાનગી છે સરકારે કહ્યું છે નવી ડેન્ટલ કોલેજ નહીં વધે તે જાહેરાત ખોટી છે. સરકારે ડેન્ટલ કોલેજની બેઠકોમાં વધારો કરવો જોઇએ. સામાન્ય પરિવારના બાળકો પણ એક નવી તક ઉભી થશે. દિવસે દિવસે દાંતના રોગમાં વધારો થયો છે. સરકારે સરકારી બેઠક ઘટાડી અને ખાનગી બેઠક વધારી ફાયદો કરાવ્યાનો આક્ષેપ પણ કર્યો છે.
તો બીજીતરફ અમદાવાદ ડેન્ટલ કોલેજના પૂર્વ ડિન ડો. મિહિર શાહ જણાવે છે કે, ગુજરાતમાં હવે ડેન્ટલ કોલેજ વધારવાનો કોઈ અર્થ નથી. પણ ગુજરાતમાં સરકારે ડેન્ટલ કોલેજોમાં ગુણવત્તા સુધારવાની જરૂર છે. રાજ્યમાં 14-15 ડેન્ટલ કોલેજો જેની 1400 જેટલી બેઠકો છે. બે વર્ષ અગાઉ ઘણી બેઠકો ખાલી રહેતી હતી. દાંત કાઢી ચોકઠાં પહેરાવવા કરતા હવે દાંત બચાવવાના પ્રયાસ કરવા જોઈએ.
વિદેશમાં ગુણવત્તા સારી છે ત્યાં ડેન્ટલ ઈંપ્લાન્ટ, કોસ્મેટિક ડેન્ટલ તરફ ખૂબ ધ્યાન અપાય છે. અહીં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ ડેન્ટલ કોલેજોની સ્થિતિ ખરાબ છે. ત્યાં પૂરતા એડમિશન થતા નથી બેઠકો ખાલી રહે છે. એવી હાલત ના થાય એટલે કોલેજોનું સંખ્યાબળ વધારવાની જરૂર નથી.


