અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, યુએસએ જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ
હર્ષ સંઘવીને પરિવારે અપહરણના ફોટા મોકલી મદદ માંગતાં તેમના પ્રયાસોથી પટેલ દંપત્તિને બચાવ થયો
ગરવી તાકાત, ગાંધીનગર તા. 20- અમેરિકા જવાના ખ્વાબ જોનારા અનેક લોકોને મોત મળ્યું છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓ ખોટો રસ્તો અપનાવે છે, જેથી તેઓ મોતના મુખમાં ધકેલાય છે. જો અમેરિકા જવાનુ સપનુ આવુ હોય તો પછી શું કામ આવુ સપનુ જોવુ. છેલ્લાં કેટલાય સમયથી એજન્ટના સહારે અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરનારા અકાળે મોતને ભેટ્યા છે. પરંતુ અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. એક એવો વીડિયો સામે આવ્યો છે, જે રુંવાડા ઉભા કરી દે તેવો છે. એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. હવે આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી રહી છે, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. તે કરગરી રહ્યો છે કે, માંગો એટલા રૂપિયા આપી દો.

જે યુવકનો વીડિયો સામે આવ્યો છે, તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોય તેવું લાગે છે.
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયા છે. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી છે. જોકે, આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. યુવક હાલ ક્યાં છે, અને તેને કયા એજન્ટે મોકલ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ પોલીસ હાલ હૈદરાબાદ અને અન્ય સ્થળોએ તપાસ કરી રહી છે. જોકે, જાણવા મળ્યુ છે કે, ગાંધીનગરમાં એક એજન્ટ દ્વારા અમેરિકા મોકલવાનું નક્કી થયુ હતું. પરંતુ રૂપિયા ન પહોંચતા પતિ પત્નીને અમેરિકાની જગ્યાએ ઈરાન લઈ જવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીના પ્રયાસોથી ઇરાનના તહેરાનમાં અપહરણ કરાયેલા પટેલ દંપત્તિને છોડાવી ભારત રવાના કરાયાં
મળતી લેટેસ્ટ માહિતી મુજબ એક વોટ્સમેસેજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગયો અને 24 કલાકની અંદર જ છેક તહેરાનમા અપહરણકર્તાઓને ત્યાં ફસાયેલા પંકજ અને બહેન નિશા પટેલને છોડાવી દીધા. આ માહિતી પરિવારના જ એક સભ્યએ આપી છે. પરિવાર તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પુત્રવધુ નિશા અને પુત્ર પંકજને ઈરાનના તહેરાનમાં ગોધી રાખી, ખંડણી માંગ્યાની જાણ રવિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ વોટ્સએપ મેસેજથી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. તે વખતે તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમા હતા.
છતાંય રવિવારની રાતથી સોમવારે રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOLનો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાન માં ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી. પરિવારના જણાવ્યાં મુજબ હવે આ સઘળા પ્રયત્નોથી ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યા છે. અને તેઓ સ્વદેશ આવવા રવાના થયા છે. માત્ર ૨૪ કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનો પરિવારે આભાર પણ માન્યો છે. આ સાથે પરિવારે સ્પષ્ટપણે એવું પણ કહ્યું કે અમારી સાથે થયુ તેવુ કોઇની સાથે ન થાય. કોઇ બે નંબરમા, એજન્ટના દોરવાયા વિદેશ ન જાય. આ રસ્તો ખોટો છે.


