ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વિવાદની વચ્ચે શું તમે જાણો છો કે આખરે આ દુશ્મનોથી ઘેરાયેલો દેશ કેવી રીતે બન્યો? દુનિયામાં સૌથી વધારે પરેશાન થયેલા યહૂદીઓનો દેશ કેવી રીતે બની ગયો પાવરફૂલ?
ગરવી તાકાત, તા. 12- 7 ઓક્ટોબર 2023એ ઈઝરાયેલના ઈતિહાસમાં નોંધાઈ રહી છે. તેનું કારણ છે કે, આ તારીખે સવારે હમાસના લડાકુઓએ યહુદીઓના દેશ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. વળી, ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ પણ હવે કહી દીધું છે કે, દુશ્મોનોને તેની ભારે કિંમત ચુકવવી પડશે. તેવામાં આખી દુનિયાને ચિંતા થઈ રહી છે કે, આ લડાઈ યુક્રેન અને રશિયાની જેવી લાંબી ન ચાલે. જોકે, આજે અમે તમને યુદ્ધ નહીં પરંતુ તેના ઈતિહાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેની સાથે જ તમને જણાવીશું કે, કઈ પરિસ્થિતી હતી જ્યારે આખી દુનિયાના યહુદીઓએ મળીને નિર્ણય કર્યો હતો કે તેઓ એક અલગ દેશ બનાવશે.
14મે 1948, એ તારીખ છે જે યહૂદી સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. આ દિવસે આખી દુનિયાને ખબર પડી કે જે યહૂદીઓ ભટકતા હતા તેમને હવે એક દેશ મળી ગયો છે. જોકે, આ ખુશી લાંબો સમય ટકી ન હતી. બીજા જ દિવસે, પાંચ પડોશી દેશોની સેનાઓએ મળીને આ નવા બનેલા દેશ પર હુમલો કર્યો. જો કે, ઈઝરાયલે તેનો વળતો જવાબ પણ આપ્યો હતો અને તમામને પરાસ્ત કરી દીધા હતાં. આ યુદ્ધે સમગ્ર દુનિયામાં સંદેશો પહોંચાડ્યો કે, દુશ્મનોથી ઘેરાયેલો આ નાનકડો દેશે કોઈપણ બાબતે કોઈનાથી ઓછો નથી.
યહૂદીઓનો નરસંહાર અને નવા દેશની કરી માંગ – આખી દુનિયામાં યહૂદી 27 જાન્યુઆરીને હોલોકૉલ્ટ સ્મરણ દિવસ ઉજવે છે. આ યહૂદી નરસંહારના પીડિતોની યાદના રુપે મનાવવામાં આવે છે. હકીકતમાં, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરની નાજી સેના યહૂદીઓને ગોતી-ગોતીને મારી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, 1941થી 1945 દરમિયાન લગભગ 60 લાખ યહૂદીઓ યુરોપમાં મૃત્યુ પામ્યા હતાં. આ નરસંહારે યહૂદીઓને અંદરથી જગાવી દીધા. જોકે, તેઓને પોતાનો દેશ જોઈતો હતો અને ત્યાંથી જ શરુ થઈ ઈઝરાયેલ બનવાની કહાની.
કઈ પરિસ્થિતીમાં થઈ હતી ઈઝરાયેલની રચના – આજનું ઈઝરાયેલ એક સમયે તુર્કીના ઓટોમાન સામ્રાજ્યનો એક ભાગ હતું. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કીનો પરાજય થયો ત્યારે આ સમગ્ર વિસ્તાર બ્રિટને કબજે કરી લીધો હતો. પરંતુ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે શક્તિઓમાં વહેંચાઈ ગયું. આ યુદ્ધમાં બ્રિટન અધવચ્ચે જ અટવાઈ ગયું હતું. આ યુદ્ધમાં બ્રિટનને પણ ઘણું નુકસાન થયું હતું. તેની અસર એ થઈ કે 1945માં બ્રિટને તેના કબજાનો આ ભાગ સંયુક્ત રાષ્ટ્રને સોંપી દીધો. 1947માં યુનાઇટેડ નેશને તેને બે ભાગમાં વહેંચી દીધું. એક હતું અરબ રાજ્ય અને એક હતું ઈઝરાયેલ. ઈઝરાયેલવાળા ભાગમાં યહૂદીઓ પણ હતાં. જોકે, તેના આગલા વર્ષે એટલે કે, 14 મે 1948એ ઇઝરાયેલે પોતાની આઝાદીનું એલાન કરી દીધું હતું.
1967નું યુદ્ધ અને ઇઝરાયેલનો ઉદય – જૂન 1967ની આકરી ગરમીમાં જ્યારે ધગધગતા તાપમાં ધરતી બળી રહી હતી ત્યારે બીજી તરફ ઈઝરાયેલ અને અરબ દેશોની વચ્ચે દુશ્મની પણ વધી રહી હતી. 5 જૂન આવતા સુધીમાં તણાવ એટલો વધી ગયો કે તે યુદ્ધમાં ફેરવાઈ ગયું. એક તરફ મિસ્ત્ર, સીરિયા અને જોર્ડનના લડાકુ તો બીજી તરફ એકલું ઈઝરાયેલ. પરંતુ, 6 દિવસ સુધી યુદ્ધમાં ઈઝરાયેલે ત્રણેય અરબ દેશોને પાણી ભરતા કરી દીધા હતાં. તેનું પરિણામ એ આવ્યું કે, ઈઝરાયેલની સિનાઈ પ્રાયદ્વીપ, ગાઝા, પૂર્વ જેરૂસલેમ, પશ્ચિમી તટ અને ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો. બાદમાં સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપને કારણે આ યુદ્ધ અટકાવવામાં આવ્યું હતું.