દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહીની માંગ: એસ.પી. હિમાંશુ સોલંકીની હાજરીમાં નાગરિકો અને પાલિકા સભ્યોએ રજૂઆતો કરી

ગરવી તાકાત ઃ વિજાપુર
તા11-9-2026
મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડા એસ.પી. હિમાંશુ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવ
સ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવી, સામાન્ય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી તેમજ પોલીસ મથકે પોતાની ફરિયાદો લઈને આવતા અરજદારોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ લાવવાનો હતો. પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ મજબૂત બને, પરસ્પર વિશ્વાસ વધે અને લોકપ્રશ્નોનું ઝડપી સમાધાન આવે તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ લોકદરબાર દરમિયાન સ્થાનિક નાગરિકો અને વિજાપુર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારોની વિવિધ સમસ્યાઓ વર્ણવી હતી. શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દારૂ અને જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે સખત હાથે કામ લઈને દરોડા પાડવા જોઈએ તેવી પ્રબળ રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાના કોર્પોરેટર તનજીલ અલીએ રજૂઆત કરતા ચિંતા વ્યક્ત કરી હતી કે નવી પેઢી દારૂ અને જુગાર જેવા અનિષ્ટો તરફ ઝડપથી આકર્ષાઈ રહી છે, જે સમાજ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. તેમણે યુવાનોને નશાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રાખવા માટે પોલીસ વિભાગ અસરકારક પગલાં ભરી અસામાજિક તત્વો પર કડક કાબૂ મેળવે તેવી ભારપૂર્વક માંગ કરી હતી.
લોકદરબારમાં ઉપસ્થિત અન્ય જાગૃત નાગરિકોએ પણ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા, ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને સ્થાનિક કક્ષાએ શાંતિ જાળવી રાખવા માટે વિવિધ ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ તમામ રજૂઆતો અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળીને ખાતરી આપી હતી કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કે અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ વગર સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને નિર્ભય બનીને પોતાની ફરિયાદો પોલીસ સમક્ષ મૂકવા અપીલ કરવામાં આવી હતી.


