— પાણી, ઘાસચારાના સેમ્પલ લઇ દાંતીવાડા કૃષિ યુનિવસટીની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા :
ગરવી તાકાત પાલનપુર : વાવની ખોડાઢોર પાંજરાપોળમાં શનિવારે રાત્રે અગમ્ય કારણોસર ૩૦ પશુઓના અચાનક મોત થતાં પંથકમાં હાહાકાર મચી ગયો હતો. ૩૦ પશુઓના મોત અંગે જાણ થતાં વેટરનરી તબીબો સાથેની પશુપાલન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃત પશુઓના સેમ્પલ લીધા હતા. પશુઓના મોતનુ કારણ જાણવા પાણી અને ઘાસચારાના સેમ્પલ લઇને દાંતીવાડા કૃષિ યુનિવસટી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાયા હતા. સેમ્પલો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાય તેમ છે. જ્યારે ભયંકર દુર્ગંધ મારતી હોવાથી રોગચાળો ફેલાય નહી તે માટે સ્થાનિક તંત્ર દ્વારા પશુઓના મૃતદેહના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી.
વાવ-ભાખરી રોડ પર આવેલી ખોડાઢોર પાંજરાપોળમાં ૨૪૮૭ પશુઓ રાખવામાં આવ્યા છે. શનિવારે રાત્રે ૯ વાગ્યાના સુમારે ઘાસચારો આરોગ્યા બાદ ૩૦ જેટલાં પશુઓના ટપોટપ મોત થયા હતા. જેમાં મરણ પામેલાં તમામ પાડા હોવાનુ જાણવા મળ્યુ હતુ. પશુઓના મોતની જાણ થતાં પશુપાલન વિભાગની ટીમ વેટરનરી તબીબો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મરણ પામેલા પશુઓના મૃતદેહના સેમ્પલ લઈને વેટરનરી તબીબોએ મોતના કારણો અંગે તપાસ શરૃ કરી હતી.
જ્યારે પશુઓએ પીધેલા પાણીના અને આરોગેલા ઘાસચારાના સેમ્પલ લઈને દાંતીવાડા કૃષિ યુનિવસટીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, પાંજરાપોળમાં દરરોજ ૨૦ ટન ઘાસચારો પશુઓને નાખવામાં આવે છે. જ્યારે બોરવેલનુ પાણી પીવડાવવામાં આવે છે. હાલમાં પીવાના પાણીની તકલીફ હોવાથી ખારૃ પાણી આપવામાં આવતુ હોવાથી ઘાસ અને પીવાના પાણીના કારણે મોત થયા હોવાનુ પ્રાથમિક તપાસમાં તારણ નીકળ્યુ છે. જો કે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ જાણવા મળી શકશે.
— પાણી અને ઘાસચારાની અછતના કારણે પશુઓના મોત: મેનેજર :
પાંજરાપોળના મેનેજર દિલીપ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે પશુઓ માટે સબસીડી આપવાની જાહેરાત કરી હોવા છતાં સબસીડી અપાતી નથી. જયારે પાંજરાપોળમાં દૈનિક ૭ થી ૮ પશુના મરણ થાય છે. સરકાર તરફથી આજ દિન સુધી ઘાસચારા બાબતે કોઈ વ્યવસ્થા કરી નથી તેમજ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. પરંતુ, તેમાં પાણી આવતુ નહી હોવાથી પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. સરહદી વિસ્તારના ગામડાઓમાં પાણી અને ઘાસ ની અછત ના કારણે અવાર નવાર પશુઓના મોત થઈ રહ્યા છે. તેથી ગામડાઓના હવાડામાં પાણી ભરીને ઘાસચારો પૂરો પાડવા સ્થાનિક લોકોની માંગ છે. ૪૦ ડિગ્રી તાપમાનમાં હવાડા ખાલી હોવાના કારણે પશુઓને પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવી પડે છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


