ગરવી તાકાત ગાંધીનગર : આજે વિધાનસભામાં ગૃહની કામગીરીની શરૂઆત પ્રશ્નોત્તરીથી થયો હતો. બંને સભ્યોમાં કોરોનાની કામગીરીને લઈને ગરમા ગરમી પણ થઈ હતી. ત્યાર બાદ આજે શહિદ દિન હોવાથી વિધાનસભામાં ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ દરમિયાન અધ્યક્ષ નીમા બેન આચાર્ય શ્રદ્ધાંજલિ આપતાં ભાવુક થયાં હતાં. તેઓ પોતાના સંબોધનમાં રીતસર રડી પડ્યાં હતાં. બીજી તરફ વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પણ વિભોર બની ગયાં હતાં.
ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આજે સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રજૂ કરેલા શહીદોના પ્રસ્તાવમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા
આ તબક્કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા બેન આચાર્ય પોતાના વક્તવ્યમાં વીર ભગતસિંહ શિવરામ રાજગુરુ અને સુખદેવને બ્રિટીશ સલ્તનતે ફાંસીને માંચડે લટકાવી દીધા હોવાનો ઉલ્લેખ કરતા જ પોતાની લાગણીઓ રોકી શક્યા નહિ અને રીતસર રડી પડતાં ગૃહમાં પણ ગમગીન વાતાવરણ સર્જાયું હતું. ઘટનાક્રમ દરમ્યાન વીર શહીદોના મનમાં ગૃહમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.