પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે
આણંદના ભાલેજ ખાતે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિર મળી
ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે
ગુજરાત બહારની દીકરીઓને ગુજરાત લાવવાની એક નવી પહેલનો પાટીદાર સમાજે લીધો નિર્ણય
ગરવી તાકાત, આણંદ તા. 24 – ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં નિર્ણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.
પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા નથી જળવાઈ. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્નથી વંચિત રહ્યા છે. આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે. ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાટીદાર કુર્મી મહાસભા દ્વારા જે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી.


