— નાનીદાઉ ગામના 500થી વધુ ખેડૂતોને ખેતર જવા રેલવે ટ્રેક પરથી જીવનું જોખમ ખેડી પસાર થવું પડતું હતું, ચોમાસામાં ભરાતા પાણીથી પણ રાહત થશે :
— નાનીદાઉથી મોટીદાઉ, બામોસણા, વાલમ, ખેરાલુ કે ઊંઝા તરફ જવા હવે આ પુલથી સીધા જવાશે, ઉપરાંત મહેસાણા હાઇવે તરફ જવામાં પણ અંતર ઘટશે :
— હવે નવો પુલ બનતાં ગ્રામજનોને રાહત થવા પામી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના નાનીદાઉ અને મોટીદાઉ ગામ વચ્ચે અંદાજે રૂ. અઢી કરોડના ખર્ચે બંધાયેલા પુલનું શનિવારે લોકાર્પણ કરાયું હતું. અગાઉ આ બંને ગામમાં આવન જાવન માટે રહીશોને મહેસાણા હાઇવે ફતેપુરા સર્કલ થઇને જવામાં 5 કિલોમીટર અંતર કાપવું પડતું, અથવા રેલવે લાઇન ઉપરથી નીકળવું પડતું, જેમાં અગાઉ અકસ્માતની ઘટનાઓ પણ બની હતી. આ બે ગામ વચ્ચે હવે પુલ બંધાતાં ખાસ કરીને ખેડૂતોને આવન જાવનમાં મોટી રાહત થઇ છે.
નાનીદાઉ અને મોટીદાઉ ગામ વચ્ચે બંધાયેલા પુલને શનિવારે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, જિ.પં. સદસ્યા તૃષાબેન પટેલ, જશુભાઇ પટેલ, કારોબારી ચેરમેન હરિભાઇ પટેલ, સરપંચ રેખાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકાયો હતો. નાનીદાઉ ગામનાં સરપંચ રેખાબેન વિક્રમસિંહ વાઘેલાએ કહ્યું કે, નાનીદાઉની અંદાજે 500 વીઘા જમીન મોટીદાઉ ગામની સીમમાં આવતી હોઇ અગાઉ રોજ ખેતી માટે ખેડૂતોને આવન જાવનમાં મુશ્કેલી પડતી હતી.
રેલવે બ્રિજ ઉપરથી પસાર થવામાં અગાઉ અકસ્માતોના બનાવો થયેલા છે તેમજ અકસ્માતનું જોખમ રહેતું હતું. વળી, ચોમાસામાં નદીમાં 2 કિમી સુધી 14 ફૂટ પાણી ભરાયેલું રહે છે. ઉનાળા અને શિયાળામાં સુજલામ સુફલામ કેનાલરાહે પાણી છોડાય ત્યારે પણ અવરજવરમાં મુશ્કેલી સર્જાતી હતી. નાનીદાઉથી હાઇવે થઇ મોટીદાઉ જવામાં 5 કિમી અંતર કાપવુ પડે. આ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો પછી પુલ બંધાતાં હવે નાનીદાઉનાં નવ પરા માટે આ પુલ ખૂબ ઉપયોગી બની રહેશે. નાનીદાઉથી મોટીદાઉ, બામોસણા, વાલમ, ખેરાલુ કે ઊંઝા તરફ જવા હવે આ પુલથી સીધા જવામાં 5 કિમી અંતર ઘટશે. મોટીદાઉના રહીશોને પણ નાનીદાઉ તરફ મહેસાણા હાઇવે જવામાં અંતર ઘટશે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


