ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મીએ તેના પતિ વિરૂધ્ધ ત્રણ વાર તલાક તલાક તલાક કહી છુટાછેડા આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. પતિએ તેની પાસે વાંરવાર દહેજની માંગ કરી તેને માનશીક પ્રતાડીત કરવાનુ સામે આવ્યુ છે. મહિલા પોલીસ કર્મીની ફરિયાદ આધારે ખેરાલુ પોલીસે એફઆઈઆર દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહેસાણાના કરીશ્મા પાર્કમાં રહેતી સાહીદાબાનુ સૈયદના લગ્ન આજથી 8 વર્ષ પહેલા પાલનપુરના નાની બજારમાં રહેતા સલાટ ઝાકીરહુસેન સાથે થયા હતા. જે ભાભર કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવે છે. શરૂઆતના લગ્ન જીવનમાં તો દંપતી વચ્ચે સારા સંબધો હતા.પરંતુ બાદમાં મહિલાના પતિએ તેની પાસે દહેજની માંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. જેમાં પતિ તેને દેવુ થઈ ગયુ હોવાથી પૈસાની માંગ કરતો હતો. આ સાથે પતિ માનશીક શારીરીક ત્રાસ પણ ગુજારતો હતો.
બાદમાં મહિલા ત્રાસથી કંટાળી તેની દિકરી સાથે ખેરાલુ પોલીસ લાઈનમાં રહેવા જતી રહેલ. જેમાં તેને સમાધાન કરવાનો પ્રયાસ પણ કરેલો પરંતુ તેનો પતિ પૈસાની માંગ કરી તેને ઘરમાંથી તગેડી મુકતો હતો. આ દરમ્યાન તેનો પતિ કોઈ અજાણી સ્ત્રી સાથે ખેરાલુ મુકામે આવેલ હતો. જેને મહિલાનો ભાઈ જોઈ જતા તેને મહિલાને વાત કરી હતી. આ મામલે મહિલા તેના પતિને મળવા બહેલીમ વાસ મસ્જીદ પાસે ગઈ હતી. જ્યા તેને અજાણી સ્ત્રી વિષે પુછતા તેને કહેલ હુ સત્તરને લઈને ફરી શકુ છુ, તારે એ જાણવાની જરૂર નથી. હુ તને સાથે રાખવા નથી માંગતો. આમ કહી તેના પતિએ ત્રણ વાર તલાક બોલી છુટાછેડા આપી દીધા હતા.
આ ઘટના બાદ મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી હતી. મહિલાની ફરિયાદ આધારે પોલીસ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લખનીય છે કે, ઈસ્લામમાં છુટાછેડાની એક પ્રક્રીયા બતાવવામાં આવી છે. આ પ્રક્રીયાથી થનારા છુટાછેડા સ્થિર હોય છે. ત્યાર બાદ લગ્નના સંબધ તુટી જાય છે. તીન તલાકને તલાક-ઉલ-બિદ્દત કહેવાય છે. પરંતુ આ પ્રકારના છુટાછેડા પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી આરોપી ઝારીકહુસૈન સલાટ વિરૂધ્ધ મુસ્લીમ મહિલા એક્ટ 2019ની કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.