ગરવી તાકાત, તા. 11 – સનાતની પરંપરામાં મકરસંક્રાંતિના તહેવાર પર દાન-પુણ્ય કરવાનો અનેરો મહિમા છે. આ પવિત્ર તહેવાર પર લોકો પોતપોતાની યથા શક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરતાં હોય છે. પરંતુ જો જાતકો પોતાની રાશિ પ્રમાણે દાન-પુણ્ય કરે છે તો તેને વધુ વિશિષ્ટ લાભ મળે છે. આ બાબતે ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરતાં જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે, મકરસંક્રાંતિ નું પર્વ નજીક આવી રહ્યું છે, 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.46 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે જયારે શનિ મહારાજ તેના ત્રણ દિવસ પછી જ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
કર્મનો ન્યાય કરતા શનિ મહારાજ સૂર્યના જ પુત્ર છે અને મકરસંક્રાંતિ પર સૂર્ય તેના પુત્રની રાશિમાં આવે છે. જ્યારે આ વર્ષે સંયોગ એવો છે કે સૂર્ય પુત્રની પ્રથમ રાશિ મકરમાં આવે છે અને ત્રણ દિવસ પછી જ શનિ મહારાજ મકર રાશિ છોડી પોતાની બીજી રાશિ કુમ્ભમાં ભ્રમણ શરુ કરશે.
બીજો સંયોગ એ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવે છે કેમ સૂર્ય મકરમાં રાત્રે પવેશ કરે છે. જેથી રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદય તિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન અને દાન કરવામાં આવશે.
વધુમાં જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી જણાવે છે કે, મકરસંક્રાંતિનો પુણ્યકાળ બીજે દિવસે એટલેક રવિવારે સવારે સૂર્યોદયથી લઈને સાંજે 5.25 સુધી છે આ પણ સંયોગ છે કે મકરસંક્રાંતિ પુણ્યકાળ રવિવારે જ આવી રહ્યો છે. જે મકરસંક્રાંતિની અસરને વધુ મજબૂત બનાવે છે. મકરસંક્રાંતિ પર તલના તેલનું મર્દન કરી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિ પર પુણ્ય કાળ માં “ૐ રિમ સૂર્યાય નમઃ” મંત્રની 11 માળા કરવાથી સૂર્યની સારી ઉર્જા પ્રાપ્ત થાય છે.


