ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતની કિશનગઢ બેઠકના વિજેતા સભ્ય સતીશકુમાર એન. તબીયાડને ત્રીજા સંતાનના મુદ્દે ગેરલાયક ઠરાવવા માટે કરાયેલી અરજી જિલ્લા વિકાસ અધિકારી (DDO) મહક જૈન (IAS) દ્વારા ફગાવી દેવામાં આવી વિગતવાર તપાસ, સરકારી દસ્તાવેજોની ચકાસણી અને બંને પક્ષોની રૂબરૂ સુનાવણી બાદ અરજદારના આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવતા સતીશકુમારનું સભ્યપદ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો આ મામલો કિશનગઢના રહેવાસી ડૉ. રાકેશભાઈ બાલુભાઈ બોડાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતથી શરૂ થયો તેમણે દાવો કર્યો હતો કે સતીશકુમાર તબીયાડને 9 ઓક્ટોબર 2016ના રોજ ત્રીજા સંતાનનો જન્મ થયો.

આ દાવાના સમર્થનમાં તેમણે ટેકો (TeCHO Pregnancy) પોર્ટલ અને મમતા કાર્ડના રેકોર્ડ રજૂ કરી ઉમેદવારની પત્ની હંસાબેનની ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દર્શાવતો રેકોર્ડ હોવાનું જણાવ્યું આ આધારે ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ સતીશકુમાર તબીયાડને ગેરલાયક ઠરાવવાની માંગ કરવામાં આવી મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા વિકાસ અધિકારીએ ભિલોડા તાલુકા વિકાસ અધિકારી (TDO) તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) પાસેથી અહેવાલ મંગાવ્યો CDHOએ સ્પષ્ટ કર્યું ટેકો પોર્ટલ અને મમતા કાર્ડ આરોગ્ય સેવાઓના ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો અને અંતિમ પુરાવા તરીકે જન્મ-મરણ નોંધણીના સત્તાવાર રેકોર્ડને જ પ્રાધાન્ય આપવામાં આવે.

તપાસ દરમિયાન રજૂ થયેલા જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ અને રેશનકાર્ડ મુજબ વિવાદિત બાળકી ભાર્ગવીના માતા-પિતા તરીકે કિરણબેન અને કેવીનભાઈ નારાયણભાઈ તબીયાડના નામ નોંધાયેલા હોવાનું સામે આવ્યું. કેવીનભાઈ, સતીશકુમાર તબીયાડના સગા ભાઈ હોવાનું પણ સ્પષ્ટ થયું. પરિણામે સતીશકુમાર તબીયાડને માત્ર બે જ સંતાનો હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ-32 હેઠળ જિલ્લા વિકાસ અધિકારી મહક જૈને આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું નોંધાવી અરજી ફગાવી દીધી ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ચિંતનભાઈ પટેલે જણાવ્યું રાજ્ય ચૂંટણી પંચના અનુસંધાને થયેલી તપાસમાં આક્ષેપોને સમર્થન આપતા પુરાવા ન મળતાં અરજી દફતરે કરવામાં આવી અને સતીશકુમાર તબીયાડનું તાલુકા પંચાયત સભ્યપદ યથાવત રહેશે.


