3 મોટા રાજ્યોમાં સી વોટર અને ઈન્ડિયા ટુડેનો સર્વે સામે આવ્યો
કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને તેનો ફાયદો થઈ શકે છે
ગરવી તાકાત, તા. 18 – લોકસભા ચૂંટણી 2024 અંગે નવો સર્વે આવ્યો છે. આ સર્વેના પરિણામોએ ભાજપના નેતૃત્વની ચિંતા વધારી છે. 3 મોટા રાજ્યોમાં સી વોટર અને ઈન્ડિયા ટુડેનો સર્વે સામે આવ્યો છે. જેમાં યુપીએની બેઠકો અને મતોની ટકાવારી વધવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે. જો કે ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન એનડીએ સતત ત્રીજીવાર કેન્દ્રમાં સત્તા મેળવવા માટે મહેનત કરી રહ્યું છે. પરંતુ નવો સર્વે ભાજપની મુશ્કેલીઓ વધારનારો છે. જે ત્રણ રાજ્યોમાં સર્વે થયો છે તેમાંથી 2માં ભાજપનું અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન તૂટ્યું છે અને તેની અસર ભાજપના પ્રદર્શન પર પડી શકે છે. બીજી બાજુ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને તેનો ફાયદો થઈ શકે છે. 
લોકસભા ચૂંટણી 2024 માટે કરાયેલા આ સર્વેમાં 1.39 લાખથી વધુ લોકોએ ભાગ લીધો. આ સર્વે ત્રણ મોટા રાજ્ય મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટક માટે કરાયો. સર્વેમાં એવા સંકેતો મળી રહ્યા છે કે યુપીએનું મેજિક ચાલશે. સર્વે મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે યુપીએ ગઠબંધનની બેઠકો વધી શકે છે. મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી 34 યુપીએને મળી શકે છે. ગત લોકસભા ચૂંટણીમાં એનડીએએ મહારાષ્ટ્રમાં 41 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં આ વખતે જ્યાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે જૂથ અને એનસીપી એક થઈ શકે છે ત્યાં બીજી બાજુ ભાજપ અને એકનાથ શિંદે જૂથ એક થઈ શકે છે.
બિહારમાં કોંગ્રેસ-આરજેડી અને જેડીયુ ગઠબંધનને લીડ મળી શકે છે. સર્વે મુજબ 40માંથી 25 બેઠકો આ વખતે યુપીએને મળી શકે છે. જ્યારે એનડીએએ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. અહીં ગત વખતે ભાજપ અને જેડીયુ સાથે હતા. એનડીએએ 2019ની ચૂંટણીમાં અહીં 39 બેઠકો જીતી હતી.
સર્વે મુજબ કર્ણાટકમાં આ વખતે એનડીએએ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. મતોની ટકાવારી પણ ઘટી શકે છે. યુપીએનું મેજિક અહીં પણ જોવા મળી શકે છે. યુપીએનો વોટશેર 43 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે 17 બેઠકો મળી શકે છે. જો કે આ સર્વે સાચો પડશે કે નહીં તે તો લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવશે ત્યારબાદ જ ખબર પડી શકશે.


