પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે વિરોધ – પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરો
30 જાન્યુઆરી 2024, ગાંધીનગર – મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાતના પત્રકારો ઉપર થતાં અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મિડિયામાં થતાં હુમલાં અને સત્તાધીશો દ્વારા કરાતી હેરાનગતી અંગે રજૂઆતો 30 જાન્યુઆરી 2024ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
આવેદનપત્ર આપતાં પહેલાં પત્રકારો ગાંધીનગર અખબાર ભવન ખાતે એકઠા થયા હતા અને પીઢ પત્રકાર દિલીપ ગોહિલના અવસાન અંગે શોકસભા કરી બે મૌન શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ, સુજલ મિશ્રા, દિનેશ ગઢવી, કિશન પંડ્યા, સંજય જાની, સંજયસિંહ ચૌહાણ, વિજયવીર યાદવ તૌફીક ઘાંચી સહિતનાં પત્રકારોએ મુખ્યપ્રધાન કાર્યાલય ખાતે આપેલ આવેલા આવેદનમાં મહત્વના મુદ્દાઓ રજૂ કરાયા હતા.
નવજીવનના પત્રકારનો કિસ્સો – 12 જાન્યુઆરી 2024ના દિવસે સુરતના જાહેર રોડ પર છઠ્ઠા ધોરણમાં ભણતી બાળાના ગુપ્તાંગ પર હાથ નાખનાર એક વિકૃત ઈસમ સામે સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનના ફોજદાર રાઠોડે સરકાર તરફે ફરિયાદ નોંધી નહીં. આ ઘટનાનો અહેવાલ નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ રજૂ કર્યો હતો. નવજીવન, ગાંધીજીએ અંગ્રેજો સામે છાપા દ્વારા લડાઈ લડવા માટે આ સંસ્થા સ્થાપી હતી. પત્રકાર તુષાર બસિયાએ ભોગ બનનાર બાળા પોતાની દીકરી છે તેમ માની અવાજ ઊઠાવ્યો 12 દિવસ પછી પત્રકારના અહેવાલ બાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી. પછી 24 જાન્યુઆરી 2024ના રોજ સીંગણપોર ફોજદાર રાઠોડે સરકાર તરફે બાળાની છેડતી કરનાર ઈસમ સામે IPC કલમ 234A/ પોક્સો એકેક્ટ કલમ-8, 23(1) (2)/ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ-74/ IT એક્ટ કલમ-66(e) હેઠળ FIR નોંધી હતી. પત્રકાર તુષાર બસિયાને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા. પત્રકારને હેરાન કરવા માટે, કાયદાનો ગેરઉપયોગ કરાયો હતો.