— ચૂંટણી પૂર્વે આદિવાસી મતો અંકે કરવાના ભાગ રૂપે :
— રોષ અને આંદોલનની ચિમકી પછી સરકારે માર્ચમાં સ્થગિત કરેલો પ્રોજેક્ટ બંધ કરી દીધો :
ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસીઓના મતો અંકે કરવાના ભાગરૂપે રાજ્ય સરકારે તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને આખરે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ આડે આદિવાસીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો અને આંદોલન શરૂ કરવાની ચિમકી આપવામાં આવી હતી. સરકારે માર્ચમાં આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો અને બે મહિના પછી હવે સંપૂર્ણપણે રદ કરી દીધો હોવાની જાહેરાત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરતમાં મિડીયા સમક્ષ આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાની જાહેરાત આદિવાસી ભાઇ-બહેનોના હિતમાં રાખીને કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી હતી જેના કારણે વિરોધ થયો હતો. મારી સરકાર આદિવાસીઓના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ મળતો રહે છે. કેન્દ્ર કોઇ યોજના મૂકતાં પહેલાં રાજ્યની મંજૂરી લેતી હોય છે તેથી રાજ્ય આ યોજનામાં આગળ વધવા માગતી નથી.
સરકારની યોજના સામે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેલી અને સરઘસ કાઢીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આદિવાસી ધારાસભ્યોએ પણ આ યોજના સામે સરકારમાં અનેક રજૂઆતો કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત કર્યા પછી રાજ્યમાં વિરોધ શરૂ થઇ ગયો હતો. આ પ્રોજેક્ટના કારણે કુલ ૨૮૮ ગામના લોકો વિસ્થાપિત થતાં હતા.
જળાશયોનું નિર્માણ કરવાની યોજના હોવાથી હજારો લોકો વિસ્થાપિત થવાનો મોટો ભય આદિવાસીઓને સતાવી રહ્યો હતો. એટલું જ નહીં વન્યજીવન અને પ્રકૃત્તિને પણ મોટું નુકશાન થઇ શકે તેમ હતું. લોકોની જમીન પ્રોજેક્ટમાં જતી હોવાથી આદિવાસી સમાજના આગેવાનો અને પ્રજાના પ્રતિનિધિઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આ યોજનામાં કુલ ૧૦૫૫૯ હેક્ટર જમીન સંપાદન થવાની હતી જે પૈકી ૪૪૪૦ હેક્ટર જંગલની જમીન હતી.


