ગુજરાત ઉપરાંત હૈદરાબાદ, ઈન્દોર, ચંદીગઢ સહિતના શહેરોમાંથી પકડાયેલા ડ્રગ્સનો નાશ કરાશે
ન્યુ દિલ્હી તા. 17- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના દ્વારા ભારતના એક પણ ખૂણે ડ્રગ્સની હેરાફેરી કે સેવન ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓને સાબદી રહેવા આદેશ આપ્યો હોવાથી પાછલા થોડા મહિના દરમિયાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું છે સાથે સાથે પેડલરો અને સપ્લાયરોને પણ દબોચી લેવામાં આવ્યા છે. હવે પકડાયેલા આ ડ્રગ્સનો આજે નાશ કરવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓએ દેશના વિવિધ ભાગોમાંથી 2416 કરોડ રૂપિયાની કિંમતનું 1.44 લાખ કિલો ડ્રગ્સ પકડ્યું છે જેનો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવશે. તેઓ ડ્રગ્સના નાશ કરવાની પ્રક્રિયા સાથે વીડિયો કોન્ફરન્સ થકી જોડાશે. સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાંથી 4277 કિલો ડ્રગ્સ ઉપરાંત ચંદીગઢ, હૈદરાબાદ, ઈન્દોર સહિતના શહેરોમાંથી પણ પકડ્યું છે જેનો આજે નાશ કરવામાં આવશે.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સરકારે ભારતને ડ્રગ્સમુક્ત બનાવવા માટે નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવી છે. અગાઉ સરકારે પહેલી જૂન-2022થી 15 જૂલાઈ-2023ના ગાળામાં રૂા.9580 કરોડની કિંમતના 8,76,554 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કર્યો હતો. જ્યારે હવે તેમાં 1.44 લાખ કિલોગ્રામ ડ્રગ્સને ઉમેરવામાં આવે તો આ આંકડો 12000 કરોડથી વધુ કિંમતના અંદાજે 10 લાખ કિલોગ્રામ ડ્રગ્સ સુધી પહોંચી જશે જે ટાર્ગેટથી અંદાજે 11 ગણું વધુ છે.


