રાજ્ય અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે “શ્રમિક અન્નપૂર્ણા યોજના”નો શુભારંભ
ગરવી તાકાત, મહેસાણા તા. 30- ગુજરાત સરકાર દ્વારા અગાઉ શરુ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી હતી જેને પગલે શ્રમિકોને મળતી ભોજનની સવલતતાથી શ્રમિકો હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે ફરી વાર આ યોજના ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી છે જેમાં મહેસાણાના ચાર સ્થળે તેમજ ઐઠોર સર્કલ અને વિસનગર મળી છ સ્થળે આ યોજનાનો પ્રારંભ અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક-ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારજીની ઉપસ્થિતિમાં કરાયો હતો. 
મહેસાણા જિલ્લામાં આજે 6 સ્થળે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાહત દરે 6 ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા. રાજ્ય અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો સુભારંભ કરાયો.સરકાર દ્વારા ફક્ત રૂ 5 માં શ્રમિકોને ભોજન આપવાનો પ્રારંભ કરાયો છે. આ સાથે જ મહેસાણા જિલ્લા ખાતે કુલ 6 કડીયાનાકા કેન્દ્રો કાર્યરત થઈ ગયા છે.આ કેન્દ્રોમાં મોઢેરા ચોકડી-મહેસાણા,રાધનપુર ચોકડી-મહેસાણા,પરા ટાવર-મહેસાણા,અમરપુરા-મહેસાણા,સાવલા દરવાજા-વિસનગર અને ઐઠોર ચોકડી-ઊંઝા ખાતે અન્નપુર્ણા યોજના કેન્દ્રો આજથી શરૂ થયા છે.
ગુજરાત રાજ્યના વિકાસ અર્થે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ ક્ષેત્રના શ્રમિક ભાઈઓ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે શુભ હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની “શ્રમિક અન્નપૂર્ણા યોજના” અંતર્ગત બજારભાવ કરતાં અનેકગણા ઓછા ભાવમાં ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે,બાંધકામ શ્રમિક અને તેના પરિવારને પોષ્ટીક આહાર મળે એ માટે આ યોજના સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવી છે.આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકે ઈ-નિર્માણ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવીને ઈ-નિર્માણ કાર્ડ થકી લાભ લઈ શકશે. મંત્રીએ જણાવ્યું કે,આ શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં રોટલી,શાક,દાળ-ભાત,મરચા,અથાણુંનો પોષ્ટીક આહાર લઈ શકશે.ગુજરાત સરકાર હંમેશાથી શ્રમિકોનો સામાજિક-આર્થિક વિકાસ થાય તેમજ તેની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે સતત કાર્યરત રહી છે.
આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશપટેલ, મહેસાણા નગરપાલિકાનાં પ્રમુખ વર્ષાબેન પટેલ, જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમપ્રકાશ, મદદનીશશ્રમ આયુક્ત, શ્રમિકમિત્રો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


