નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં સતત ઘટાડા છતા પણ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સતત ઉંચા રહ્યા તેના પર સરકારના જવાબથી અસંતુષ્ટ થઈને વિપક્ષોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. 
ગઈકાલે પ્રશ્નકાળ સમયે કાનૂનના પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવ અંગે સરકારની નીતિઓનો બચાવ કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બાસ્કેટના બ્રેન્ટ-ક્રુડતેલના ભાવ નવે. 2020થી નવે 2022 વચ્ચે સતત ઉંચા રહ્યા છે તેની સામે પેટ્રોલના ભાવમાં આ બે વર્ષના સમયગાળામાં 18.5% નો અને ડિઝલના ભાવમાં 26.5% નો જ વધારો થયો છે.
તેની સામે સરકારે ઉપભોકતાઓને રાહત આપવા માટે સરકારે બે વખત 21 નવે. 2021 અને 21 મે 2022માં પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડયુટી ઘટાડી છે. જો કે વિપક્ષોએ આ મુદે સરકારના હાલના ક્રુડતેલ ભાવ ઘટાડા પર પ્રતિભાવ માંગ્યો હતો તે ન મળતા સભાત્યાગ કર્યો હતો. રાજયસભામાં વિપક્ષોએ બેઠક મુદાઓ ઉઠાવવા કોશિશ કરી હતી અને સભા મોકુફીની દરખાસ્ત પણ આવી હતી પણ તે નકારાતા ઉપલા ગૃહમાં ભારે ધાંધલ ધમાલ સર્જાઈ હતી.


