ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ ત્યાર બાદ આવતાં મહોર્રમ પર્વને લઇ મંગળવારે સાંજે હરિહર સેવા મંડળ ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. જેમાં ચાલુ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશમાં વિસનગરના પાંચ લોકોના નિધન થયા હોઇ ગંજી વિસ્તારથી લાલ દરવાજા સુધી ડીજેનો અવાજ ઓછો કે બંધ રાખવા સહિતનાં રચનાત્મક સૂચનો અગ્રણીઓ દ્વારા કરાયાં.
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રામાં જોડાતા વાહનોને નંબર આપવા, ચાલુ વર્ષે મોટો રથ રખાયો હોવાથી ઉનાળામાં બજારોમાં બાંધેલા કપડાં દૂર કરવા, વિકાસના કામો ચાલી રહ્યા હોવાથી રસ્તા સરખા કરવા તેમજ ભગવાનના મોસાળા દરમિયાન માનવ મહેરામણ વધુ હોવાથી પટણી દરવાજાનું ડાયવર્જન આપવા સહિતનાં સૂચનો અગ્રણીઓએ કર્યાં.
તેમજ કાંસા એન એ વિસ્તાર હવે વિસનગરમાં આવી ગયો હોવાથી આ ગામી વર્ષોમાં રથયાત્રાનો રૂટ લાંબો કરવા માટે પણ સૂચન કરાયું. જ્યારે મહોર્રમ પર્વે નગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવે તેવું સૂચન કરાયું. બંને પક્ષોના અગ્રણીઓએ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઊજવવાની ખાત્રી આપી.