બનાસકાંઠા જિલ્લામાં કોરોના પ્રકોપ વચ્ચે મ્યુકરમાયકોસિસ નામના રોગના કેસો પણ સામે આવ્યા છે. જેમાં પાલનપુર તાલુકા પંચાયતના નાયબ તાલુકા વિકાસ અધિકારીને કોરોના બાદ મ્યુકરમાયકોસિસ ના લક્ષણ જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-
તલાટીઓ અને સંરપચો દ્રારા નાયબ ટીડીઓઓને મદદરૂપ બનવા આર્થિક સહાય એકત્ર કરાઈ
-
કોરોના બાદ મ્યુકરમાયકોસિસના લક્ષણ જણાતા નાયબ ટીડીઓ અમદાવાદમાં સારવાર હેઠળ
પાલનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ તાલુકા વિકાસ અધિકારી અમૃતભાઈ જી પરમાર થોડા સમય અગાઉ કોરોનામાં સપડાતા તેમની સારવાર હાથ ધરાઈ હતી. જે બાદ નાયબ ટીડીઓ અમૃતભાઈ પરમારને મ્યુકરમાયકોસિસ રોગ ના લક્ષણ જણાતા તેમને વધુ તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની ખર્ચાળ સર્જરી કરવાની હોઈ પાલનપુર તાલુકાના તલાટીઓ તેમજ સરપંચો દ્રારા મ્યુકરમાયકોસિસમાં સપડાયેલા નાયબ ટીડીઓને મદદરૂપ બનવા માટે સ્વૈચ્છિક આર્થિક સહાય કરવામાં આવી રહી છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહમાં મ્યુકરમાયકોસિસ ના પણ એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. જેમાં એક નાયબ ટીડીઓ આ જીવલેણ બીમારીમાં સપડાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.